વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે ખાસ અપીલ કરી છે. પરંતુ વડોદરા કોર્પોરેશન (VMC) ના પેટનું પાણી હલતું નથી. વડોદરામાં પાલિકાની ચૂંટણી પહેલાં લાવવામાં આવેલી ૭ નવી ઈ-બસ છેલ્લા એક મહિનાથી ડેપોમાં ધૂળ ખાઈ રહી છે. શહેરીજનો આ એસી બસમાં મુસાફરી કરવા ઉત્સુક છે, પણ તંત્ર હજુ સુધી આ બસો શરૂ કરી શક્યું નથી.
પીએમ મોદીની અપીલ છતાં ડીઝલનો ધુમાડો
તાજેતરમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે કટોકટી સર્જાઈ છે. આ સ્થિતિને જોતા પીએમ મોદીએ ગત સપ્તાહે વડોદરા મુલાકાત દરમિયાન પણ ઈંધણની બચત કરવા પર ભાર મૂક્યો હતો.
એકતરફ વડાપ્રધાન ગ્રીન એનર્જી અને પ્રદૂષણ મુક્ત પરિવહનની વાત કરે છે. જ્યારે બીજી તરફ વડોદરામાં સીટી બસોના કારણે ડીઝલનો ધુમાડો થઈ રહ્યો છે અને નવી ઈ-બસો શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે.
ઈ-બસ રોડ પર ન દોડવાનું અસલી કારણ શું?
વડોદરા પાલિકા તંત્રની અધૂરી તૈયારીઓને કારણે આ ઈ-બસો શરૂ થઈ શકી નથી. તેનું મુખ્ય કારણ નીચે મુજબ છે:
-
ચાર્જિંગ સ્ટેશનોનો અભાવ: શહેરમાં ઈ-બસ ચલાવવા માટે પૂરતા પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશન જ નથી.
-
માત્ર એક જ સ્ટેશન કાર્યરત: હાલમાં વડોદરાના માત્ર ગોત્રી વિસ્તારમાં જ એક ઈ-ચાર્જિંગ સ્ટેશન આવેલું છે.
-
તંત્રની ઢીલી કામગીરી: હવે જ્યારે બસો આવી ગઈ છે, ત્યારે તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે.
ચૂંટણી લક્ષી જાહેરાત? પાલિકાની ચૂંટણી નજીક હતી ત્યારે તંત્રએ જોરશોરથી જાહેરાતો કરીને ૭ નવી ઈ-બસો શહેરમાં લાવી દીધી હતી. પરંતુ પૂરતું આયોજન ન હોવાથી હવે આ બસો ક્યારે દોડશે તેની કોઈ ચોક્કસ તારીખ તંત્ર જાહેર કરી શકતું નથી.
