સુરતમાં રખડતા શ્વાન નો ત્રાસ હવે ટેક્સટાઈલ માર્કેટો સુધી પહોંચી ગયો છે. શહેરના રિંગરોડ પર આવેલી તિરુપતિ માર્કેટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માસૂમ બાળક પર શ્વાનના ટોળાએ ઘાતક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાને પગલે વેપારીઓ અને મુલાકાતીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.
માતાની નજર ચૂકવી ત્રણ શ્વાને બાળકને જમીન પર ઢસડ્યો
મળતી માહિતી મુજબ, એક મહિલા પોતાના બાળક સાથે તિરુપતિ માર્કેટમાં ખરીદી માટે આવી હતી. તે દરમિયાન મહિલાનું ધ્યાન બાળક પરથી થોડી ક્ષણો માટે હટી ગયું હતું. આ જ સમયે ત્યાં રખડતા ત્રણ શ્વાન માસૂમ બાળક પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ બાળકને ઘેરીને બચકાં ભરવાનું શરૂ કર્યું અને તેને રસ્તા પર ઢસડ્યો હતો. બાળકની માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોંમાંથી બાળકને માંડ-માંડ છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો.
પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ છે. વેપારીઓનું કહેવું છે કે રોજ હજારો લોકોની અવરજવર વાળા વિસ્તારમાં કૂતરાઓનો ત્રાસ મોટી આફત સમાન છે. આ હુમલા બાદ સુરત મહાનગરપાલિકા (SMC)ની શ્વાન નિયંત્રણ કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને વેપારી સંગઠનો રખડતા શ્વાનોના ત્રાસ સામે કડક ઝુંબેશ ચલાવવાની માંગ કરી રહ્યા છે.
સુરતના બગીચાઓ અને રહેણાંક વિસ્તારો પણ અસુરક્ષિત
જાહેર સ્થળો પર શ્વાનનો ત્રાસ કઈ હદે વધી ગયો છે તેના અન્ય ઉદાહરણો પણ સામે આવ્યા છે:
-
જાહેર બગીચામાં હુમલો: બે દિવસ પહેલાં પાલિકાના એક ગાર્ડનમાં મુલાકાતીના બાળક પર શ્વાને હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગાર્ડનમાં શ્વાનોના ઝૂંડ જોઈને લોકો ડરી રહ્યા છે.
-
રામપુરામાં પશુઓનો શિકાર: રામપુરા વિસ્તારમાં રખડતા શ્વાનોએ વાડામાં બાંધેલા પશુઓ પર હુમલો કર્યો હતો. શ્વાના ટોળાએ ઈદ માટે લાવેલા 3 બકરાને ફાડી ખાતા તેમના મોત થયા હતા.
