દેશમાં અત્યારે E-20 પેટ્રોલ અને બાયોફ્યુઅલને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકોના મનમાં એન્જિન બગડવાને લઈને કેટલીક શંકાઓ પણ છે. આ મુદ્દે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સરકાર કોઈ પણ નવી ટેકનોલોજી લાવતા પહેલા તેની પૂરી ટેસ્ટિંગ કરે છે. E-20 બળતણનો ઉપયોગ પણ સંપૂર્ણ તપાસ બાદ જ શરૂ કરાયો છે.
એન્જિન બગડવાની કોઈ ફરિયાદ નથી મળી
નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે તેમની પાસે હજુ સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી. E-20 ના કારણે ગાડીઓનું એન્જિન ખરાબ થઈ રહ્યું હોવાની વાત માત્ર એક પ્રોપેગેન્ડા હોઈ શકે છે.
તેમણે પડકાર આપતા કહ્યું કે, જેની પણ ગાડી ૨૦૨૩ પહેલાની છે અને E-20 ના કારણે એન્જિનમાં ખરાબ આવી છે, તે મારી પાસે ફરિયાદ નોંધાવે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સહિત ઘણી ઓટોમોબાઈલ કંપનીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઇંધણથી ગાડીઓમાં કોઈ ખરાબી આવી નથી. પટનામાં એક ગાડી ખરાબ થવાનો મામલો સામે આવ્યો હતો, પરંતુ તપાસમાં તે પેટ્રોલની મિલાવટના કારણે હોવાનું બહાર આવ્યું હતું.
બાયોફ્યુઅલથી ખેડૂતોને સીધો ફાયદો થશે
નીતિન ગડકરીએ દેશની આર્થિક સ્થિતિ અને પ્રદૂષણનો ઉલ્લેખ કર્યો હતો. આજે ભારતમાં ૨૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું ફોસિલ ફ્યુઅલ (જીવાશ્મ ઇંધણ) આયાત કરવામાં આવે છે. દેશમાં ૪૦ ટકા વાયુ પ્રદૂષણનું કારણ આ જ ઇંધણ છે.
જો આપણે આ આયાતને બાયોફ્યુઅલ એટલે કે ઇથેનોલથી બદલી દઈએ, તો આ પૈસા દેશના ખેડૂતો પાસે જશે. મકાઈ અને શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની શરૂઆત થવાથી ખેડૂતોની આવક વધી છે. આનાથી ખાંડ મિલો અને શેરડી પકવતા ખેડૂતોનું નસીબ બદલાઈ ગયું છે. ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવું ખૂબ જ જરૂરી છે.
માઇલેજ અને ફ્લેક્સ એન્જિન ટેકનોલોજી
માઇલેજ અંગેના સવાલો પર ગડકરીએ સ્પષ્ટ કર્યું કે શહેરોમાં માઇલેજ પર બહુ ફરક પડતો નથી. જો કે, હાઇવે પર માઇલેજમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.
તેમણે ફ્લેક્સ એન્જિન (Flex Engine) ની વિશેષતા વિશે જણાવ્યું હતું. આ એન્જિનમાં ૧૦૦ ટકા પેટ્રોલ અથવા ૧૦૦ ટકા ઇથેનોલ બંનેનો ઉપયોગ થઈ શકે છે. શહેરોમાં જ્યાં વારંવાર બ્રેક લગાવવી પડે છે, ત્યાં હાઇબ્રિડ ફ્લેક્સ એન્જિન ટેકનોલોજી કામ કરશે. બ્રેક લગાવવાથી વધુ વીજળી પેદા થશે, જે ગાડીની ક્ષમતા વધારશે.
E-20 પેટ્રોલ એ કોઈ નવો પ્રયોગ નથી. બ્રાઝિલ અને દુનિયાના ઘણા દેશો ૧૯૭૦થી જ આનો સફળ ઉપયોગ કરી રહ્યા છે. ભારત સરકારે પણ ઊંડા અભ્યાસ બાદ જ આ નિર્ણય લીધો છે.
