ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે ભારે ફફડાટ ફેલાયો છે. પંચમહાલ જિલ્લામાં આ ઘાતક વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સમગ્ર વિસ્તારના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં 13 શંકાસ્પદ કેસ
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં 13 બાળકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
-
આ 13 દર્દીઓમાંથી 11 પંચમહાલ જિલ્લાના અને 2 મહીસાગર જિલ્લાના છે.
-
સારવાર દરમિયાન ચાંદીપુરા પોઝિટિવ ધરાવતા 2 બાળકોના મોત થયા છે.
-
અન્ય 1 બાળ દર્દીનું શંકાસ્પદ લક્ષણો સાથે મોત થતાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
-
હાલમાં 6 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 બાળકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
અમદાવાદ લાવતી વખતે રસ્તામાં જ માસૂમે તોડ્યો દમ
આ વાયરસનો ભોગ બનેલા ગોધરા તાલુકાના મણીપુર ગામના એક બાળકને અચાનક તીવ્ર તાવ સાથે આંચકી (ખેંચ) આવવા લાગી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી ગોધરા સિવિલના તબીબોએ તેને અમદાવાદ રીફર કર્યો હતો. પરંતુ કમનસીબે, અમદાવાદ પહોંચતા પહેલા જ રસ્તામાં જ માસૂમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. દર વર્ષે ચોમાસામાં આ વાયરસ માથું ઊંચકતો હોવા છતાં આરોગ્ય વિભાગ પાસે કોઈ નક્કર એક્શન પ્લાન ન હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.
24 ગામોમાં સઘન સર્વેલન્સની કામગીરી શરૂ
ત્રીજા બાળકના મોત બાદ દોડતા થયેલા આરોગ્ય વિભાગે મણીપુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટીમો ઉતારી દીધી છે.
-
દવાનો છંટકાવ: સંભવિત 24 ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને પાવડર અને દવાનો છંટકાવ શરૂ કરાયો છે.
-
તિરાડો પૂરવાની કામગીરી: કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
-
સેન્ડફ્લાય માખીઓ પકડાઈ: સર્વેલન્સ દરમિયાન તંત્ર દ્વારા 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી છે.
આરોગ્ય વિભાગની અપીલ અને લક્ષણો
આરોગ્ય વિભાગના નાયબ નિયામક સુરેન્દ્ર જૈના જણાવ્યા મુજબ, તમામ મેડિકલ ઓફિસરોને એલર્ટ કરી દેવાયા છે. શંકાસ્પદ કેસ જણાતા જ દર્દીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલવા આદેશ અપાયા છે.
તબીબોની સલાહ: આ વાયરસ ખાસ કરીને કાચા મકાનોની દીવાલોમાં જોવા મળતી સેન્ડ ફ્લાય (રેતીની માખી) કરડવાથી ફેલાય છે. તે 14 વર્ષ સુધીના બાળકોને વધુ અસર કરે છે. જો બાળકને અચાનક તીવ્ર તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો દેખાય, તો મોડું કર્યા વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
