દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને શ્રી સોમનાથટ્રસ્ટે ભક્તો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે.
મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી: ટ્રસ્ટની સ્પષ્ટતા
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે, સોમનાથમંદિરમાં કોઈ VIP દર્શન, સ્પેશિયલ દર્શન કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ જ વ્યવસ્થા નથી. સોમનાથ મંદિરમાં આવતા તમામ ભક્તો માટે દર્શનની એકસમાન વ્યવસ્થા છે. કોઈપણ વ્યક્તિ, એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોય તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નકલી છે.
ઓનલાઈન ઠગ કઈ રીતે શ્રદ્ધાળુઓને ફસાવે છે?
ટ્રસ્ટના આઈટી (IT) અને સિક્યોરિટી વિભાગના જણાવ્યા મુજબ, ફ્રોડ તત્વો ઓનલાઈન સર્ચ એન્જિન પર નકલી લિંક્સ અને પેઇડ જાહેરાતો મૂકીને VIP ટિકિટ ઉપલબ્ધ હોવાનો ખોટો દાવો કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સ્પેશિયલ એન્ટ્રીના નામે અસત્ય માહિતી ફેલાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ભક્તોને સીધા ફોન કરીને અથવા ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલીને તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો પણ થયા છે.

બુકિંગ માટે માત્ર સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરો
શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભક્તોએ કોઈ પણ પૂજા વિધિ, રૂમ બુકિંગ કે પ્રસાદ માટે માત્ર અને માત્ર ટ્રસ્ટના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો.
-
ઓફિશિયલ વેબસાઈટ: https://somnath.org/
ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ એકમાત્ર સત્તાવાર વેબસાઈટ સિવાય અન્ય કોઈ પણ અજાણી વેબસાઈટ, સોશિયલ મીડિયા પેજ કે મોબાઈલ એપ પર જરાય વિશ્વાસ ન કરવો.
છેતરપિંડી કરનારાઓ સામે ટ્રસ્ટ એક્શન મોડમાં
આ પ્રકારની સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓને રોકવા માટે સોમનાથ ટ્રસ્ટ કડક કાયદાકીય પગલાં લઈ રહ્યું છે. ગેરમાર્ગે દોરતી તમામ નકલી વેબસાઈટ્સને ઈન્ટરનેટ પરથી હટાવવા માટે ગૂગલ (Google) ને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ કથિત ઠગાઈમાં સંડોવાયેલા અજાણ્યા તત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે નાણાંની માંગણી કરે, તો તુરંત જ પોલીસ અથવા સોમનાથ ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે.
