ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) છોડીને આઈપીએલમાં જોડાતા વિદેશી ખેલાડીઓથી પીસીબી ચીફ મોહસિન નકવી ભારે નારાજ થયા છે. તેમણે આવા ખેલાડીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
ખેલાડીઓએ PSL ને બદલે IPL પસંદ કરી
તાજેતરમાં કેટલાક મહત્વના ખેલાડીઓએ પીએસએલના કોન્ટ્રાક્ટ છોડીને આઈપીએલમાં જોડાવાનો નિર્ણય લીધો છે:
-
બ્લેસિંગ મુઝરબાની: ઝિમ્બાબ્વેનો આ બોલર ઈસ્લામાબાદ યુનાઈટેડ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયો છે.
-
દાસુન શનાકા: શ્રીલંકાના કેપ્ટન શનાકા પણ પીએસએલ છોડી રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા ભારત આવી રહ્યા છે.
મોહસિન નકવીની કાનૂની કાર્યવાહીની ચેતવણી
મીડિયા સાથેની વાતચીતમાં મોહસિન નકવીએ જણાવ્યું કે, “જે ખેલાડીઓ અધવચ્ચેથી પીએસએલ છોડીને ગયા છે, અમે તેમની વિરુદ્ધ લીગત એક્શન લેવાની તૈયારીમાં છીએ.” જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે આઈપીએલ સાથેના ટકરાવથી પીએસએલને બહુ ફરક નહીં પડે કારણ કે વિશ્વમાં પ્રતિભાશાળી ખેલાડીઓની કમી નથી.
ખાલી મેદાનમાં રમાશે PSL!
મોહસીન નકવીએ જણાવ્યું હતું કે પીએસએલ 2026 ની મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. તેમણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણ ગણાવ્યું હતું. પીએસએલ 26 માર્ચે શરૂ થશે, જેની ફાઇનલ 3 મેના રોજ યોજાવાની છે. દરમિયાન, આઈપીએલ 2026 28 માર્ચે શરૂ થવાનું છે, પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું નથી, તેથી અંતિમ તારીખ જાહેર કરવામાં આવી નથી.
