Parul Chauhan; ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે હજારો યુવતીઓ અભિનેત્રી બનવાનું સપનું લઈને આવે છે. તેમાંથી કેટલાક કલાકારો રાતોરાત સ્ટાર બની જાય છે. આવી જ એક અભિનેત્રીની આજે વાત કરવી છે. જેને કરિયરની શરૂઆતમાં પોતાના લુક અને સાવળા રંગના કારણે ઘણું રિજેક્શન સહન કરવું પડ્યું હતું. પરંતુ જ્યારે તેને તક મળી ત્યારે તેણે ધમાકેદાર ડેબ્યુ કર્યું.
પ્રથમ શોથી જ બની ગઈ ટીવી સ્ટાર
વર્ષ 2007માં સીરિયલ ‘સપના બાબુલ કા… બિદાઈ’ (Sapna Babul Ka Bidaai) શરૂ થઈ હતી. આ શોમાં રાગિણીનું પાત્ર ભજવીને એક અભિનેત્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ અભિનેત્રીનું નામ છે પારુલ ચૌહાણ (Parul Chauhan). પારુલ કોઈ પણ ગોડફાધર વગર ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. શરૂઆતમાં લોકો તેને સાવળા રંગ અને દૂબળાપણા માટે ટ્રોલ કરતા હતા. ઓડિશન દરમિયાન તેને કહેવામાં આવતું કે ટેલેન્ટ છે પણ લીડ રોલ માટે રંગ સાફ નથી.
ટાઈપકાસ્ટ થવાના ડરે છોડ્યો હિટ શો
પારુલ ચૌહાણે પ્રખ્યાત ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) માં આશરે અઢી વર્ષ કામ કર્યું હતું. આ શોમાં તે સ્વર્ણા મનીષ ગોએન્કાના રોલમાં જોવા મળી હતી. જોકે, પછીથી તેણે આ હિટ શો છોડી દીધો હતો. એક ઈન્ટરવ્યુમાં પારુલે ખુલાસો કર્યો હતો કે તે સ્ક્રીન પર દાદીનો રોલ કરવા નહોતી માંગતી. તેને ડર હતો કે નાની ઉંમરે આવા રોલ કરવાથી તે ટાઈપકાસ્ટ થઈ જશે.
સોશિયલ મીડિયા પર શેર કર્યો દર્દનાક અનુભવ
પારુલ ચૌહાણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે કેવી રીતે શરૂઆતમાં લોકો તેના રંગ પર કમેન્ટ કરતા હતા. જેના કારણે તેનું દિલ તૂટી ગયું હતું. પરંતુ દર્શકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો. પારુલે ‘બિદાઈ’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘ધર્મ યોદ્ધા ગરુડ’ જેવા અનેક હિટ શોમાં કામ કર્યું છે. પારુલના પતિ ચિરાગ ઠક્કર પણ એક એક્ટર અને મોડલ છે.
