તમિલનાડુના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ (K. Annamalai) ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે સવારે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
રાજીનામું આપ્યા બાદ અન્નામલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી છે.
નવી પાર્ટી બનાવવાની અટકળો તેજ
છેલ્લા ઘણા મહિનાઓથી અટકળો ચાલી રહી હતી કે અન્નામલાઈ ભાજપથી નારાજ છે. હવે એવી ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં જ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. તમિલનાડુમાં ઘણી જગ્યાએ આ અંગેના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
દિલ્હી રવાના થતા પહેલા ચેન્નાઈ એરપોર્ટ પર અન્નામલાઈએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આગામી બે દિવસમાં તેઓ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે.
કેન્દ્ર સરકારની નીતિઓનો કર્યો હતો વિરોધ
અન્નામલાઈના ભાજપ છોડવાના સંકેતો અગાઉથી જ મળી રહ્યા હતા. તાજેતરમાં જ તેમણે CBSE દ્વારા ધોરણ 9 માટે જાહેર કરાયેલી ‘ત્રણ-ભાષા નીતિ’ (Three-Language Policy) નો ખુલ્લો વિરોધ કર્યો હતો. તેમણે આ નોટિફિકેશન પાછું ખેંચવાની માંગ પણ કરી હતી. કેન્દ્ર સરકારની નીતિ સામેના આ વલણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ પોતાની અલગ રાજકીય જમીન તૈયાર કરી રહ્યા છે.
ચૂંટણી ગઠબંધનથી નારાજ હતા અન્નામલાઈ
પૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, બાદમાં હાઈકમાન્ડે તેમના સ્થાને નૈનાર નાગેન્દ્રનને પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા હતા.
મુખ્ય કારણ: તમિલનાડુમાં AIADMK સાથે ભાજપના ગઠબંધન બાદ અન્નામલાઈ પક્ષથી અંતર જાળવી રહ્યા હતા. આગામી ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને ઉમેદવારોના સિલેક્શન બાબતે પણ ભાજપ નેતૃત્વ અને અન્નામલાઈ વચ્ચે સહમતી બની શકી નહોતી.
હવે જોવાનું એ રહેશે કે અમિત શાહ સાથેની મુલાકાત બાદ અન્નામલાઈ આગામી બે દિવસમાં શું મોટો ધડાકો કરે છે.
< /p>
