યુદ્ધ કે આંતરિક વિવાદ ગમે તે દેશમાં હોય, તેની સૌથી મોટી કિંમત સામાન્ય જનતાએ ચૂકવવી પડે છે. ઈરાનમાં લગભગ 88 દિવસના સંપૂર્ણ ઈન્ટરનેટ બેન (Internet Ban) બાદ મંગળવારે સાંજે મર્યાદિત કનેક્ટિવિટી બહાલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોની ખુશી કરતાં તેમનો ડર, ચિંતા અને ગુસ્સો વધારે જોવા મળી રહ્યો છે.
સામાન્ય લોકોની રોજગારી છીનવાઈ
ઈન્ટરનેટ બંધ રહેવાના કારણે ઈરાનના નાગરિકોને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે. તેહરાનની એક ફોટોગ્રાફરે જણાવ્યું કે છેલ્લા છ અઠવાડિયાથી તેને કોઈ કામ મળ્યું નથી. તેને પોતાના માતા-પિતા પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા છે.
ઈરાન સરકારના સમર્થકો આ ઈન્ટરનેટ બહાલીને સરકારની સફળતા ગણાવી રહ્યા છે. તેની સામે લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઈન્ટરનેટ તેમનો મૂળભૂત અધિકાર છે, આમાં સરકારે કોઈ મોટી મહેરબાની કરી નથી.
ઈરાનમાં કેમ બંધ હતું ઈન્ટરનેટ?
ઈરાન સરકારે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે 8 જાન્યુઆરીથી ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. ફેબ્રુઆરીમાં તેને ધીમે ધીમે ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ ફરીથી ઈન્ટરનેટ સંપૂર્ણપણે ઠપ કરી દેવાયું હતું.
જનતામાં શા માટે છે આટલો ગુસ્સો?
સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર લોકો યુદ્ધ અને પ્રદર્શનોમાં માર્યા ગયેલા બાળકો અને નાગરિકોના વીડિયો શેર કરી રહ્યા છે. તેહરાનના એક પ્રોફેસરે ભાવુક થઈને જણાવ્યું:
“આ યુદ્ધમાં સૌથી વધુ નુકસાન અમારું (જનતાનું) થયું છે. ન તો અમેરિકાને કોઈ નુકસાન થયું છે, ન ઈઝરાયેલને કે ન તો ઈસ્લામિક સ્ટેટની સરકારને. અમે અમારી રોજીરોટી અને અમારા યુવાનોને ગુમાવી દીધા છે.”
બીજી તરફ, આઈટી પ્રોફેશનલ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જેમણે મદદ માટે ટ્રમ્પ પર ભરોસો કર્યો હતો, તેમને નિરાશા જ સાંપડી છે.
આઝાદી નહીં, પરંતુ વધુ દેખરેખનો ડર
ઈરાનના યુવાનો અને પ્રદર્શનકારીઓને ડર છે કે આ ઈન્ટરનેટ બહાલી મુક્ત આઝાદી નથી. સરકાર આના માધ્યમથી લોકો પર ડિજિટલ વોચ (નજર) રાખવા માંગે છે. લોકો આને ‘ફિલ્ટરનેટ’ કહી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “નમસ્કાર સાથી કેદીઓ, મને એવું લાગી રહ્યું છે કે હું જેલમાંથી અસ્થાયી રજા પર આવ્યો છું.”
લોકોનું માનવું છે કે ઈન્ટરનેટ પાછું આવવાથી તેમની સ્વતંત્રતા પાછી નથી આવી, પરંતુ આઝાદી મેળવવાની લડાઈમાં ગુમાવેલી વસ્તુઓનું દર્દ ફરી તાજું થયું છે.
