ભારત સરકારે પૂર, ભૂકંપ અને દરિયાકાંઠાના વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક લોકોને ઝડપી અને સચોટ માહિતી પૂરી પાડવા માટે કમ્યુનિટી રેડિયો નેટવર્કને મજબૂત કરવાની જાહેરાત કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તેમજ આપત્તિ વ્યવસ્થાપન વિભાગોને આ દિશામાં ઝડપથી કામ કરવા નિર્દેશ આપ્યા છે.
આપત્તિ સમયે તુરંત મળશે તમામ અપડેટ્સ
સરકારનું માનવું છે કે ઈમરજન્સી પરિસ્થિતિમાં સ્થાનિક ભાષામાં વિશ્વસનીય માહિતી આપવા માટે કમ્યુનિટી રેડિયો સૌથી અસરકારક માધ્યમ છે. આ રેડિયો સ્ટેશનો દ્વારા પૂરની ચેતવણી, હવામાન એલર્ટ, આરોગ્ય વિષયક માહિતી અને સરકારની જરૂરી માર્ગદર્શિકાઓ સીધી સ્થાનિક નાગરિકો સુધી પહોંચાડી શકાશે. ઈમરજન્સી સમયે કેન્દ્ર કે રાજ્ય સરકારના વિશેષ સંદેશાઓનું પ્રસારણ કરવું આ રેડિયો સ્ટેશનો માટે અનિવાર્ય રહેશે.
૫૦ કરોડ રૂપિયાનું બજેટ અને ઈમરજન્સી ગ્રાન્ટ
કેન્દ્ર સરકારની ‘સપોર્ટિંગ કમ્યુનિટી રેડિયો મુવમેન્ટ ઇન ઇન્ડિયા’ યોજનાને વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, જેના માટે ₹૫૦ કરોડનું કુલ બજેટ નક્કી કરાયું છે.
-
અદ્યતન સાધનો અને પાવર બેકઅપ: આ યોજના હેઠળ નવા અને જૂના રેડિયો સ્ટેશનોને એડવાન્સ ટૂલ્સ ખરીદવા તેમજ વીજળી ગુલ થાય ત્યારે પ્રસારણ ચાલુ રાખવા માટે UPS, જનરેટર અને સોલાર પાવર સિસ્ટમ જેવા બેકઅપ માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
-
૧૧.૫૦ લાખની મદદ: રાજ્યસભામાં માહિતી આપતાં મંત્રી એલ. મુરુગને જણાવ્યું હતું કે જો કોઈ કાર્યરત કમ્યુનિટી રેડિયો સ્ટેશન પૂર કે ભૂકંપથી ક્ષતિગ્રસ્ત થાય, તો તેને ફરી શરૂ કરવા માટે ₹૧૧.૫૦ લાખ સુધીની ઈમરજન્સી ગ્રાન્ટ આપવામાં આવશે.
