બક્સરમાં વરમાળા દરમિયાન સ્ટેજ પર દુલ્હનને ગોળી મારવામાં આવી. તેના પ્રેમીએ જાહેરમાં સ્ટેજ પર ઉભેલી દુલ્હનના પેટમાં ગોળી મારી અને ત્યાંથી ભાગી ગયો. લગ્નમાં ફાયરિંગ બાદ અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક દુલ્હનને સદર હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેની ગંભીર હાલત જોતા બનારસ રિફર કરવામાં આવી હતી.
DSP ગૌરવ પાંડેએ જણાવ્યું કે પરિવારે કહ્યું કે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઘાયલ દુલ્હને આરોપી પ્રેમીનું નામ લઈને કહ્યું, ‘દીનબંધુએ મને ગોળી મારી દીધી.’ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના નગર ચૌસા પંચાયતના મલ્લાહ ટોલાની છે. પરિવારનું કહેવું છે કે યુવક તેમની દીકરીને એકતરફી પ્રેમ કરતો હતો. દીકરીના લગ્ન યુપીના બલિયામાં નક્કી કર્યા હતા
હવે આખી ઘટના
મંગળવારની રાત્રે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સુલેમાનપુર ગામથી જાન બક્સરના ચૌસા આવી હતી. રાત્રે વરમાળાની વિધિ ચાલી રહી હતી, વર-વધૂ સ્ટેજ પર હાજર હતા.
આ દરમિયાન એક વ્યક્તિ મોં ઢાંકીને સ્ટેજ સુધી પહોંચ્યો અને નંદજી મલ્લાહની દીકરી અને દુલ્હન બનેલી આરતી કુમારીને ગોળી મારી દીધી. જોરદાર ગીતોના અવાજમાં ગોળીનો અવાજ દબાઈ ગયો. પરંતુ આરતી અચાનક સ્ટેજ પર પડી ગઈ.
દીનબંધુએ મને ગોળી મારી: દુલ્હન
સ્ટેજ પર ઉભેલી છોકરીઓ બૂમાબૂમ કરવા લાગી કે આરતીને કોઈએ ગોળી મારી દીધી છે. જ્યારે લોકોએ જોયું તો તેના પેટમાંથી લોહી વહી રહ્યું હતું. લગ્ન સમારોહમાં દુલ્હનને ગોળી માર્યાના સમાચાર ઝડપથી વિસ્તારમાં ફેલાઈ ગયા.
લોકો દુલ્હનને સદર હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં આરતી કુમાર પેટમાં લાગેલી ગોળી બતાવતી રહી અને કહેતી રહી કે દીનબંધુએ મને ગોળી મારી છે. વારાણસીમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
છોકરીના પિતા બોલ્યા- એકતરફી પ્રેમ હતો
સ્થાનિક લોકોના મતે, દીનબંધુ દુલ્હનનો પાડોશી છે અને આ મામલો પ્રેમ-પ્રસંગ સાથે જોડાયેલો છે. બંનેના ઘર આજુબાજુ છે.
છોકરીના પરિવારજનોનું કહેવું છે કે દીનબંધુ આરતીને એકતરફી પ્રેમ કરતો હતો. અમારી છોકરીને તે પ્રેમ કરતો હતો, મારી દીકરીને તેના પ્રત્યે પ્રેમ નહોતો, એટલે બંનેના લગ્ન કરાવવાની વાત ક્યારેય સામે આવી જ નહોતી.
જો દીકરાના અફેરની ખબર હોત તો લગ્ન કરાવી દેત
આરોપીના પિતા રમાશંકર ચૌધરીએ જણાવ્યું, ‘છોકરીનું ઘર નજીકમાં જ છે, પણ ખબર નહોતી કે મારો દીકરો તેને પ્રેમ કરે છે. અમને ખબર હોત તો અમે પોલીસ-પ્રશાસન અને સમાજ સામે હાથ જોડીને તેના લગ્ન કરાવી દીધા હોત.
આવી ઘટનાનો વારો જ ન આવ્યો હોત. ઘટના પછી સંબંધીઓ પાસે ફોન આવવા લાગ્યા છે, બધા તેની જાણકારી લઈ રહ્યા છે કે ઘટના પછી દીનબંધુ ક્યાં ગયો છે.’
આરોપીના ઘરને પોલીસે સીલ કર્યું
પોલીસે આરોપીના ઘરને ખાલી કરાવીને તાળું મારી દીધું છે. અપર પોલીસ સ્ટેશનના પ્રભારી ચંદન કુમારે જણાવ્યું કે આ મામલો પ્રેમ પ્રકરણનો છે. ફરાર આરોપીની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. લગ્નમાં હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. જેથી આરોપી સુધી જલદી પહોંચી શકાય.
