બોમ્બે હાઈકોર્ટે ટ્રાફિક નિયમો અને સિવિક સેન્સ (નાગરિક શિસ્ત) અંગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. એક અકસ્માતના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી કે હવે સમય આવી ગયો છે કે ભારતીયો પણ વિકસિત દેશોની જેમ રોડ પર ચાલવાની અને ગાડી ચલાવવાની શિસ્ત કેળવે.
શું હતો સમગ્ર મામલો?
નવેમ્બર 2012માં થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસની ટક્કરથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતક પાર્કિન્સન અને લકવાથી પીડાતા હતા. આ કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે (MACT) 13 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું. જોકે, પરિવાર દ્વારા વળતર વધારવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
હાઈકોર્ટની મહત્વની ટિપ્પણીઓ
જસ્ટિસ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે આ કેસમાં મહત્વના અવલોકનો કર્યા:
-
બેવડું વલણ: ભારતીયો જ્યારે વિદેશ જાય છે ત્યારે ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરે છે, પરંતુ પોતાના દેશમાં આવતા જ નિયમો તોડવા લાગે છે. આ માટે કોઈ બહાનું ચલાવી લેવાય નહીં.
-
વાલીઓની જવાબદારી: વડીલો અને માતા-પિતાએ પોતે નિયમો પાળવા જોઈએ, જેથી બાળકો નિયમો તોડવાનું નહીં પણ પાળવાનું શીખે.
-
ટ્રાફિક પોલીસને આદેશ: ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો વારંવાર સિગ્નલ તોડે છે. ટ્રાફિક પોલીસે આવા લોકો સામે કડક હાથે કામ લેવું જોઈએ.
વળતરમાં 2 લાખનો વધારો
કોર્ટે નોંધ્યું કે મૃતક વ્યક્તિ બીમાર હોવાથી તેમણે કોઈની મદદ લઈને રોડ ક્રોસ કરવો જોઈતો હતો, જેમાં તેમની થોડી બેદરકારી હતી. પરંતુ, બસ ડ્રાઈવરે પણ લંગડાતી વ્યક્તિને જોઈને બસની સ્પીડ ઘટાડવાની જરૂર હતી. આ તમામ પાસાઓને ધ્યાને રાખીને હાઈકોર્ટે વળતરની રકમ 13 લાખથી વધારીને 15 લાખ રૂપિયા કરી દીધી છે.
