નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ લાંબા સમયથી ચર્ચામાં છે. શનિવારે નવી દિલ્હીમાં ‘પ્રથમ સંકલ્પ’ ઈવેન્ટ સાથે આ ફિલ્મના પ્રમોશનની શરૂઆત થઈ ગઈ છે. આ ઈવેન્ટમાં સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી એ ફિલ્મમાં સીતા માતાનો રોલ કરવા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે આ પવિત્ર પાત્ર ભજવવા માટે તેણે પોતાને કેવી રીતે તૈયાર કરી હતી.
‘હું બેસીને ધ્યાન કરતી હતી’
ઈવેન્ટ દરમિયાન જ્યારે સાઈ પલ્લવીને તેના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે કોઈ દેવીનું પાત્ર ભજવવું સરળ નથી. સાઈ પલ્લવીએ જણાવ્યું, “મને નથી લાગતું કે સીતા માનો રોલ કરવાનો નિર્ણય મેં પોતે લીધો હતો. આ રોલ મળવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. શૂટિંગ દરમિયાન હું બેસીને ધ્યાન (Meditation) કરતી હતી અને પ્રાર્થના કરતી હતી કે સીતા મા, તમે જ મારા દ્વારા અભિનય કરો.”
વિચારોને શુદ્ધ રાખવાનો પ્રયત્ન કર્યો
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે આ રોલ કરતી વખતે તેણે પોતાની લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કર્યો હતો. તેણે શૂટિંગ દરમિયાન પોતાના વિચારોને બિલકુલ શુદ્ધ અને ન્યુટ્રલ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી તે સ્ક્રીન પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે.
ડાયરેક્ટરે કર્યા સાઈ અને રણબીરના વખાણ
ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ રામ અને સીતાનો રોલ કરી રહેલા રણબીર કપૂર અને સાઈ પલ્લવીના ખુબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું, “અભિનેતાની આંખો હંમેશા સાચું બોલે છે. મેં રણબીરની આંખોમાં પ્રભુ રામ અને સાઈની આંખોમાં માતા સીતાને જોયા છે. મને ફિલ્મમાં રણબીર કે સાઈ નથી દેખાતા, પણ માત્ર રામ અને સીતા જ દેખાય છે.”
આ ઈવેન્ટમાં સાઉથ સુપરસ્ટાર યશ પણ હાજર રહ્યો હતો અને તેણે પણ રણબીર કપૂરની એક્ટિંગના જોરદાર વખાણ કર્યા હતા.
