તાજેતરમાં દેશના અલગ-અલગ શહેરોમાં બનેલી આગની દુર્ઘટનાઓએ લોકોને હચમચાવી દીધા છે. આવી ઘટનાઓ બાદ પરિવારો પર આર્થિક સંકટ પણ આવી પડે છે. આ સ્થિતિમાં ઘણા પોલિસીધારકોના મનમાં સવાલ થાય છે કે, જો આગની દુર્ઘટનામાં વીમાધારકનું મૃત્યુ થાય તો શું લાઈફ ઈન્સ્યોરન્સ (જીવન વીમો) ના પૈસા મળે કે નહીં? ચાલો જાણીએ વીમા નિષ્ણાતો આ અંગે શું કહે છે.
આગમાં મૃત્યુ સામાન્ય રીતે ટર્મ ઈન્સ્યોરન્સ હેઠળ કવર થાય છે
અકસ્માતથી થતા મૃત્યુ અંગે લોકોમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે વીમા કંપનીઓ આગમાં થયેલા મોતના ક્લેમ ચૂકવવાનો ઇનકાર કરી શકે છે. પરંતુ વીમા નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે એવું નથી હોતું. સ્ટાન્ડર્ડ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી એ રીતે ડિઝાઈન કરાયેલી હોય છે કે તે તમામ સંજોગોમાં પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. જો પોલિસી ચાલુ (Active) હોય તો કંપનીએ પૂરેપૂરી વીમા રકમ (Sum Assured) ચૂકવવી પડે છે.
રાઈડર વગર પણ મળે છે ક્લેમ
એક સામાન્ય અફવા એવી છે કે જો પોલિસીમાં અલગથી ‘એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર’ ન લીધો હોય તો કોઈ પૈસા મળતા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારી બેઝ પોલિસી (મૂળ પોલિસી) પોતે જ અકસ્માતથી થતા મૃત્યુને કવર કરે છે. રાઈડર માત્ર વધારાનો આર્થિક લાભ આપે છે, પણ તેના વગર પણ મૂળ ક્લેમ તો મળે જ છે.
શું ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનથી ક્લેમ રિજેક્ટ થઈ શકે?
ઘણા લોકોને ચિંતા હોય છે કે જે બિલ્ડિંગમાં આગ લાગી, ત્યાં જો ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો વીમો અટકી જશે. નિષ્ણાતોના મતે આ ચિંતા સાવ ખોટી છે. આવી કડક શરતો જનરલ ઈન્સ્યોરન્સ (જેમ કે પ્રોપર્ટી વીમો) માં હોય છે, લાઈફ ઈન્સ્યોરન્સમાં નહીં. જો ડેથ સર્ટિફિકેટ ઈશ્યૂ થઈ ગયું હોય, તો વીમા કંપની બિલ્ડિંગ માલિકની બેદરકારીનું બહાનું કાઢીને નોમિનીનો ક્લેમ નકારી શકે નહીં.
લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ ક્યારે રિજેક્ટ થઈ શકે?
વીમા કંપનીઓ માત્ર ચોક્કસ સંજોગોમાં જ ક્લેમ રિજેક્ટ કરી શકે છે:
-
જો પોલિસી ખરીદતી વખતે આવક, ઉંમર કે શિક્ષણ અંગે ખોટી માહિતી આપી હોય.
-
જો દુર્ઘટના કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ દરમિયાન થઈ હોય.
-
જો વીમાકૃત વ્યક્તિ અકસ્માત સમયે નશાની હાલતમાં હોય.
-
જો વ્યક્તિએ જાણીજોઈને આત્મહત્યા કે પોતાના જીવને જોખમમાં મૂક્યો હોય.
લાઈફ અને જનરલ ઈન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત સમજો
મોટાભાગની મૂંઝવણ બંને વીમાને એક સરખા સમજવાથી થાય છે. લાઈફ ઈન્સ્યોરન્સ વ્યક્તિના જીવન પર હોય છે અને તેમાં પોલિસી લેતી વખતે આપેલી વિગતો મહત્વની છે. જ્યારે જનરલ ઈન્સ્યોરન્સમાં અલગ-અલગ કાયદાકીય અપવાદો અને શરતો હોઈ શકે છે. તેથી અફવાઓથી દૂર રહીને હંમેશા તમારી પોલિસીના નિયમો ધ્યાનથી વાંચવા જોઈએ.
