ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માના નામે વધુ એક મોટી સિદ્ધિ જોડાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 23 જૂનના રોજ રોહિત શર્માને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કર્યા છે. રોહિતને તેના શાનદાર નેતૃત્વ અને રમત જગતમાં અદભુત યોગદાન બદલ આ સર્વોચ્ચ સન્માન મળ્યું છે.
તેમની સાથે ટેનિસના દિગ્ગજ ખેલાડી વિજય અમૃતરાજને ‘પદ્મ ભૂષણ’ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
રોહિત માટે ખાસ રહ્યું છે કરિયર
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ દેશભરમાં જશ્ન મનાવાયો હતો. રાષ્ટ્રપતિએ જાન્યુઆરી 2026માં પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં રમત જગતમાંથી કુલ 9 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
હરમનપ્રીત કૌરને પણ મળ્યો હતો એવોર્ડ
આ પહેલા ચાલુ વર્ષના મે મહિનામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેમની સાથે પેરા એથ્લીટ પ્રવીણ કુમાર અને માર્શલ આર્ટ્સ ક્ષેત્રે કે. પાજનિવેલને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રોહિતની કેપ્ટનશિપમાં ભારતે જીતી બે ICC ટ્રોફી
રોહિત શર્મા ભારતીય ક્રિકેટનો એક મહાન ખેલાડી છે. તેની આગેવાની હેઠળ ભારતીય ટીમે 2024નો ટી20 વર્લ્ડ કપ અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સિવાય તે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમનો પણ ભાગ હતો. વર્ષ 2023ના વનડે વર્લ્ડ કપમાં પણ રોહિતે શાનદાર કેપ્ટનશિપ કરી હતી અને ટીમ ઈન્ડિયાને ફાઈનલ સુધી પહોંચાડી હતી.
વર્લ્ડ કપમાં રોહિતનું શાનદાર પ્રદર્શન
-
2023 વનડે વર્લ્ડ કપ: રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને કુલ 597 રન બનાવ્યા હતા. તેઓ વિરાટ કોહલી (765 રન) પછી સૌથી વધુ રન બનાવનાર બીજા ખેલાડી હતા.
-
2019 વનડે વર્લ્ડ કપ: 2019ના વર્લ્ડ કપમાં રોહિત શાનદાર ફોર્મમાં હતો. તેણે એક જ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 5 સદી ફટકારી હતી અને 9 ઇનિંગ્સમાં સૌથી વધુ 648 રન બનાવ્યા હતા.
