આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમની વિજયકૂચ અટકી છે. મેન્ચેસ્ટર ખાતે રમાયેલા ગ્રુપ-એના ત્રીજા મુકાબલામાં સાઉથ આફ્રિકાએ ભારતને 6 વિકેટે હરાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતની આ પહેલી હાર છે. આ હાર બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ખૂબ જ નિરાશ અને નારાજ જોવા મળી હતી. મેચ પૂરી થયા બાદ તેણે હાર માટે ખરાબ ફિલ્ડિંગ અને નબળી બોલિંગને મુખ્ય જવાબદાર ઠેરવી હતી.
કેપ્ટન હરમનપ્રીત કૌરે શું કહ્યું?
સાઉથ આફ્રિકા સામેની હાર બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હરમનપ્રીત કૌરે ખેલાડીઓના પ્રદર્શન પર આકરા પ્રહારો કર્યા હતા.
તેણે જણાવ્યું કે:
-
“મેચ દરમિયાન અમને વિકેટ લેવાની કેટલીક તકો મળી હતી, પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.“
-
“આ સ્તર પર તમારે મળતી તકોને ઝડપવી ખૂબ જ જરૂરી છે.“
-
“જો તમે આવી ભૂલો કરશો, તો કોઈ તમને સરળતાથી જીતવા દેશે નહીં.“
હરમનપ્રીતે ઉમેર્યું કે હવે અમારે બાકીની બે મેચ માટે પોઝિટિવ રહેવાની જરૂર છે. આગામી મેચ પહેલા 2-3 દિવસનો સમય છે, જેમાં અમે ટીમ કોમ્બિનેશન અને પ્લાનિંગ વિશે ચર્ચા કરીશું.
હવે સેમીફાઈનલમાં પહોંચવાની રાહ મુશ્કેલ
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે 158 રન બનાવ્યા હતા, જેને સાઉથ આફ્રિકાએ 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
હવે ભારત માટે સેમીફાઈનલની ડગર મુશ્કેલ બની છે. ટીમ અત્યારે 3 મેચમાં 4 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા નંબરે છે. જો ભારતને સેમીફાઈનલમાં પહોંચવું હોય, તો બાકી રહેલી બંને ગ્રુપ મેચો જીતવી ફરજિયાત છે.
ભારતની આગામી મેચો:
-
25 જૂન: બાંગ્લાદેશ મહિલા ટીમ સામે
-
28 જૂન: ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામે
