નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં વાપસી લગભગ નક્કી થઈ ગઈ છે. યુવરાજ સિંહ આગામી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ થઈને નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.
આઈપીએલની 19મી સીઝન પૂરી થયા બાદ તમામ ફ્રેન્ચાઈઝીઓએ અત્યારથી જ આગામી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, યુવરાજ સિંહ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફમાં પરત ફરી શકે છે.
દિલ્હી ટીમના બનશે બેટિંગ કોચ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, 44 વર્ષીય યુવરાજ સિંહ આઈપીએલ 2027 ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચનું પદ સંભાળી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહ સત્તાવાર રીતે પ્રથમ વખત આઈપીએલમાં કોચિંગ સેટઅપમાં જોડાશે.
અનેક યુવા ખેલાડીઓને કર્યા છે મેન્ટર
યુવરાજ સિંહ ભલે સત્તાવાર રીતે પ્રથમ વખત કોચ બની રહ્યા હોય, પરંતુ તેઓ લાંબા સમયથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યા જેવા યુવા ખેલાડીઓની સફળતા પાછળ યુવરાજ સિંહનો મોટો હાથ રહ્યો છે. આ ખેલાડીઓએ આઈપીએલ 2026 ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દિલ્હી કેપિટલ્સ માટે નિરાશાજનક રહી હતી છેલ્લી સીઝન
આઈપીએલ ઇતિહાસમાં દિલ્હી કેપિટલ્સ હજુ સુધી એકપણ ટ્રોફી જીતી શકી નથી. આઈપીએલ 2026 ની સીઝનમાં ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ બાદમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. દિલ્હીની ટીમ લીગ સ્ટેજની 14 મેચોમાંથી માત્ર 7 મેચ જીતી શકી હતી અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ખરાબ પ્રદર્શનના કારણે દિલ્હી પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. આ હાર બાદ કેપ્ટન અક્ષર પટેલ અને હેડ કોચ હેમાંગ બદાનીની ભારે ટીકા થઈ હતી. આ સ્થિતિમાં આગામી સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફ અને ટીમ સ્ક્વોડમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેની શરૂઆત યુવરાજ સિંહની એન્ટ્રીથી થઈ રહી છે.
<
