મધ્ય પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રાજ્યસભા ની ત્રણેય બેઠકો પર ભાજપે (BJP) કબજો કરી લીધો છે. ભાજપના ત્રણેય ઉમેદવારો આ ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ગુરુવારે (11 જૂન) રિટર્નિંગ ઓફિસરે ત્રણેય વિજેતાઓને જીતનું સર્ટિફિકેટ પણ આપી દીધું છે.
આ ત્રણ નેતાઓને મળ્યું વિજય સર્ટિફિકેટ
ભાજપે મધ્ય પ્રદેશમાંથી ત્રણ દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી અધિકારી તરફથી સર્ટિફિકેટ મેળવનારા નેતાઓમાં આ નામ સામેલ છે:
-
તરુણ ચુગ
-
રજનીશ અગ્રવાલ
-
મહેશ કેવટ
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેમ રદ થયું?
રાજ્યસભા ની આ બેઠકો માટે 18 જૂનના રોજ મતદાન થવાનું હતું. કોંગ્રેસે અહીંથી મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ભાજપની વાંધા અરજી બાદ રિટર્નિંગ ઓફિસરે મીનાક્ષી નટરાજનનું નામાંકન પત્ર (ફોર્મ) રદ કરી દીધું હતું.
આક્ષેપ છે કે તેમણે પોતાના સોગંદનામામાં તેલંગાણામાં પેન્ડિંગ એક કાનૂની કેસની માહિતી છુપાવી હતી. ફોર્મ રદ થતાં જ મેદાનમાં માત્ર ભાજપના ત્રણ ઉમેદવારો બચ્યા હતા. આ કારણે ચૂંટણી વગર જ તેમને વિજેતા જાહેર કરાયા છે.
હવે સુપ્રિમ કોર્ટ પર ટકેલી છે કોંગ્રેસની આશા
કોંગ્રેસે આ મામલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. આ અરજી પર શુક્રવારે (12 જૂન) સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે કહ્યું કે, “અમને હવે સર્વોચ્ચ અદાલત પાસેથી જ છેલ્લી આશા અને પૂરો વિશ્વાસ છે.”
સુપ્રિમ કોર્ટમાં શું થઈ દલીલો?
-
કોંગ્રેસ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી હતી.
-
તેમણે કોર્ટને જણાવ્યું કે જો વહેલી સુનાવણી નહીં થાય, તો ઉમેદવારે આગામી 6 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
-
સામા પક્ષે રિટર્નિંગ ઓફિસર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આ અરજીનો વિરોધ કર્યો હતો.
-
જસ્ટિસ પ્રશાંત કુમાર શર્મા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચ 12 જૂને આ કેસ સાંભળશે. કોર્ટે હાલ પૂરતી ચૂંટણી પરિણામો પર કોઈ રોક લગાવી નથી.
મીનાક્ષી નટરાજને લગાવ્યા રાજકીય ષડયંત્રના આક્ષેપ
બીજી તરફ, કોંગ્રેસના નેતા મીનાક્ષી નટરાજને ચૂંટણી અધિકારીના આ નિર્ણયને ખોટો, પક્ષપાતી અને કાયદાની વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે હૈદરાબાદ કોર્ટના કેસનો હવાલો આપીને કહ્યું કે, આ માત્ર તેમની છબી ખરાબ કરવાનું રાજકીય ષડયંત્ર છે. હવે શુક્રવારે કોર્ટના નિર્ણય પર સૌની નજર રહેશે.
< /p>
