દુબઈ થી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક મિનીબસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનેલી બસમાં અનેક ભારતીય શ્રમિકો (કામદારો) સવાર હતા. અકસ્માત બાદ દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે (Indian Consulate) આ ઘટના અંગે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી છે.
વચચ્ચે રસ્તા પર ટ્રક બંધ પડતા સર્જાયો અકસ્માત
દુબઈ પોલીસના ટ્રાફિક વિભાગના ડાયરેક્ટર બ્રિગેડિયર જુમા સાલેમ બિન સુવૈદાને જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ સામે આવ્યું છે. ટેકનિકલ ખામીના કારણે એક ટ્રક અમીરાત રોડની અધવચ્ચે અચાનક ઉભો રહી ગયો હતો.
આ દરમિયાન પાછળથી આવી રહેલી મિનીબસના ડ્રાઈવરનું ધ્યાન ચૂકાયું હતું. બસ અને ટ્રક વચ્ચે સુરક્ષિત અંતર ન હોવાને કારણે મિનીબસે પાછળથી ટ્રકને જોરદાર ટક્કર મારી દીધી હતી.
ભારતીય દૂતાવાસ હરકતમાં
અકસ્માતની જાણ થતાં જ દુબઈમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ત્યાં સારવાર લઈ રહેલા ઘાયલ ભારતીય નાગરિકોની મુલાકાત લીધી હતી અને મદદની ખાતરી આપી હતી.
દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “દુબઈમાં થયેલા આ દુખદ અકસ્માતથી અમે ખૂબ જ દુખી છીએ. જેમાં ઘણા ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છીએ.”
5 લોકોની હાલત ગંભીર
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ઘાયલ થયેલા 9 લોકોમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર છે. જ્યારે 4 લોકોને મધ્યમ પ્રકારની ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ટ્રાફિક પોલીસે બંને ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને હાઈવે પર વાહનવ્યવહાર સામાન્ય કરાવ્યો છે.
<
