પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માંથી ખૂબ જ ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. અહીં પાકિસ્તાની સેના અને સ્થાનિક પ્રદર્શનકારીઓ વચ્ચે ભયાનક લોહીયાળ સંઘર્ષ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સેના દ્વારા પ્રદર્શનકારીઓ પર ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ફાયરિંગમાં ૧૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ સમગ્ર PoK વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.
અંતિમયાત્રા પર પાકિસ્તાની સેનાનું ફાયરિંગ
આ પ્રદર્શનની આગેવાની કરી રહેલી ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’એ સેના પર ગંભીર આરોપો લગાવ્યા છે. કમિટીના જણાવ્યા અનુસાર, સેનાએ રાવલકોટમાં ‘શાહઝેબ’ નામના યુવકની અંતિમયાત્રા (જનાજા) માં સામેલ લોકો પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
અંતિમયાત્રામાં સામેલ લોકો પાકિસ્તાની સેના અને શહબાઝ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આરોપ છે કે સુરક્ષાબળો મૃતકોના શવ પણ પોતાની સાથે લઈ ગયા છે. કમિટીના નેતા શૌકત નવાઝ મીરને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.
મસ્જિદોમાંથી એલાન અને ઈન્ટરનેટ બંધ
આ ક્રૂરતા બાદ રાવલકોટની મસ્જિદોમાંથી સતત એલાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં બહાર આવીને પાકિસ્તાની સેનાનો સામનો કરવાની અપીલ કરાઈ રહી છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ (Internet Blackout) કરી દેવામાં આવી છે.
શા માટે ભડકી આ હિંસા?
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં જુલાઈ મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં સ્થાનિક લોકો પોતાના યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ અને મૂળભૂત સુવિધાઓ માટે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે.
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ:
-
12 અનામત બેઠકો નાબૂદ કરવી: PoK ની બહાર રહેતા લોકો માટે વિધાનસભામાં ૧૨ બેઠકો અનામત છે. આ બેઠકોના કારણે બહારના લોકો અહીંની રાજનીતિ નક્કી કરે છે, જે બંધ કરવાની માંગ છે.
-
મૂળભૂત સુવિધાઓ: વિસ્તારમાં સસ્તી વીજળી, આર્થિક સુધારા અને મફત આરોગ્ય સેવાઓ આપવાની માંગ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની સેના પોતાની જ જનતાના અવાજને દબાવવા માટે વિરોધ કરનારાઓને “ભારતીય એજન્ટ” ગણાવી રહી છે. આ નીતિની પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હમીદ મીરે પણ આકરી આલોચના કરી છે.
< /p>
