પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ તેજ બન્યું છે. 9 મેના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાની શક્યતા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે, આગામી 9 મે એટલે કે શનિવારના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ખાસ વાત એ છે કે આ દિવસે રવીન્દ્રનાથ ટાગોરની જયંતી પણ છે, જેને ધ્યાનમાં રાખીને જ ભાજપે આ દિવસની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે. જોકે, મુખ્યમંત્રી પદ માટે કયા નેતાના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.
-
શપથ ગ્રહણ: 9 મે (રવીન્દ્રનાથ ટાગોર જયંતી) ના રોજ યોજાશે.
-
મુખ્ય દાવેદાર: શુભેન્દુ અધિકારી, શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજ.
-
શુભેન્દુની જીત: મમતા બેનરજીને હરાવીને શુભેન્દુ અધિકારીએ ફરી પોતાની તાકાત સાબિત કરી.
-
હાઈકમાન્ડની બેઠક: પીએમ મોદી અને અમિત શાહ દિલ્હીમાં ટૂંક સમયમાં નિર્ણય લેશે.
શુભેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ
નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો જીતનાર શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમણે સતત બીજી વખત મમતા બેનરજીને હાર આપી છે. આ મોટી જીત બાદ તેમનું કદ પક્ષમાં ઘણું વધી ગયું છે.
9 મેના રોજ શપથ ગ્રહણ
બંગાળ ભાજપના પ્રમુખ શમિક ભટ્ટાચાર્યના જણાવ્યા મુજબ, શપથ ગ્રહણ માટે શનિવાર, 9 મેનો દિવસ નક્કી કરાયો છે. આ દિવસે રવીન્દ્રનાથ ટાગોરની જયંતી પણ છે. બંગાળી સંસ્કૃતિ અને સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને ભાજપે આ દિવસની પસંદગી કરી છે.
દિલ્હીમાં બેઠકોનો દોર
મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે દિલ્હીમાં હલચલ તેજ થઈ છે. પીએમ મોદી, અમિત શાહ અને નિતિન નવીન વચ્ચે મહત્વની બેઠકો થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ નિરીક્ષક તરીકે કોલકાતા જઈ શકે છે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થશે.
