નવી દિલ્હી | એપ્રિલ 24, 2026 ; આમ આદમી પાર્ટી (AAP) માટે આજે અત્યાર સુધીનો સૌથી કાળો દિવસ સાબિત થયો છે. પાર્ટીના સ્થાપક સભ્ય અને તેજતર્રાર નેતા રાઘવ ચઢ્ઢાએ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો ભગવો ધારણ કરી લીધો છે. ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી અધ્યક્ષ નીતિન નવીને તેમને મીઠાઈ ખવડાવી પક્ષમાં આવકાર્યા હતા.

“ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો”
રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ભાવુક અને આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું:
“મેં જે પાર્ટીને લોહી-પરસેવાથી સીંચી અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે આજે પોતાના મૂળ મૂલ્યોથી ભટકી ગઈ છે. મને અનુભવ થતો હતો કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. હવે આ પાર્ટી દેશહિત માટે નહીં પણ અંગત સ્વાર્થ માટે કામ કરે છે.”
AAPના 2/3 સાંસદો ભાજપ ભેગા: કેજરીવાલની તાકાત અડધી થઈ
રાઘવ ચઢ્ઢાએ મોટો દાવો કર્યો છે કે તેમની સાથે રાજ્યસભાના બે તૃતિયાંશ (2/3) સાંસદો છે, જેમણે ભાજપમાં જોડાવા માટે હસ્તાક્ષર કરી દીધા છે. આ યાદીમાં નીચેના દિગ્ગજોના નામ સામેલ છે:
-
રાઘવ ચઢ્ઢા
-
હરભજન સિંહ
-
સ્વાતિ માલીવાલ
-
સંદીપ પાઠક
-
અશોક મિત્તલ
-
વિક્રમજીત સાહની
-
રાજેન્દ્ર ગુપ્તા
સૌથી મોટી વાત એ છે કે રાઘવ ચઢ્ઢાને હટાવ્યા પછી અરવિંદ કેજરીવાલે જેમને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા હતા, તેમણે પણ રાઘવ ચઢ્ઢા સાથે AAP છોડી દીધી છે. આ પક્ષપલટા બાદ હવે રાજ્યસભામાં AAP પાસે માત્ર 3 સાંસદો (સંજય સિંહ, એન.ડી. ગુપ્તા અને બલબીર સિંહ સિચ્ચેવાલ) બચ્યા છે.

કેમ થઈ આ બગાવત?
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની હાર બાદ પક્ષમાં આંતરિક કલહ વધી ગયો હતો. ખાસ કરીને રણનીતિકાર સંદીપ પાઠકને હાંસિયામાં ધકેલી દેવાતા નારાજગી વધી હતી. કેજરીવાલે પાઠક પાસેથી મહત્વની જવાબદારીઓ છીનવી લીધી હતી, જે આ મોટા ભંગાણનું મુખ્ય કારણ મનાય છે.
ભાજપમાં ઉત્સાહ, AAPમાં સન્નાટો
રાઘવ ચઢ્ઢાના ભાજપમાં જોડાવાથી દિલ્હી અને પંજાબના રાજકારણમાં મોટા ફેરફારો નિશ્ચિત છે. ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કટાક્ષ કરતા કહ્યું કે, “બુદ્ધિશાળી લોકો હવે AAPમાં રહી શકે તેમ નથી.” બીજી તરફ, અરવિંદ કેજરીવાલે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.
