Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

રાજદ્વારી નિષ્ફળતા: સજા પૂર્ણ થવા છતાં 178 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ, દર વર્ષે 4થી 5ના મોત

રાજદ્વારી નિષ્ફળતા: સજા પૂર્ણ થવા છતાં 178 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ, દર વર્ષે 4થી 5ના મોત

“પપ્પા ક્યારે ઘરે આવશે?” — આ અસમંજસ અને સવાલ સાથે એક પાંચ વર્ષની બાળકી દરરોજ સાંજે ઘરના દરવાજા બહાર નજર દોડાવ્યા કરે છે. બીજી બાજુ પુત્રના વિરહમાં બીમાર પડેલી માતા દીકરો આવીને તેને કાંધ આપશે, તેની રાહમાં વર્ષો સુધી શ્વાસ રોકીને બેઠી હતી. એક બહેન ભાઈના કાંડે રાખડી બાંધવા, તો એક પત્ની તેના પતિનો અવાજ સાંભળવા તરફડી રહી છે. આ દર્દનાક સ્થિતિ છે દેશના એવા 178 માછીમારોના પરિવારોની, જેઓ હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે.

રાજદ્વારી નિષ્ફળતાને કારણે વર્ષોથી જેલમાં કેદ

સામાન્ય રીતે માછીમાર પકડાયા બાદ રાષ્ટ્રીયતાની ઓળખ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહીમાં 3 થી 6 મહિના લાગે છે. ત્યારબાદ સમુદ્રીય સરહદ ઓળંગવા માટે 6 મહિનાની કેદ થાય છે. એટલે કે નિયમ મુજબ 1 વર્ષમાં માછીમારને મુક્ત કરી તેમના દેશ પરત મોકલવાના હોય છે.

તેમ છતાં, કાયદેસરની સજા ભોગવ્યા બાદ પણ રાજદ્વારી નિષ્ફળતાના લીધે વર્ષોથી ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં અટવાયેલા છે.

  • દર વર્ષે 4 થી 5 માછીમારોના મોત: જેલમાં યોગ્ય સુવિધા અને માનસિક તાણના કારણે દર વર્ષે માછીમારો જીવ ગુમાવે છે.

  • ગત વર્ષે એક માછીમારે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

  • કુલ 178 કેદ માછીમારોમાંથી: 144 ગુજરાતના, 24 દીવના અને બાકીના મહારાષ્ટ્રના છે.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમને જેલમાંથી મુક્ત કરાવવા પરિવારો તેમજ ‘પાકિસ્તાન-ઈન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી’ અને ‘રાષ્ટ્રીય માછીમાર ફોરમ’ જેવા સંગઠનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

પીડિત પરિવારોની દર્દનાક આપવીતી

1. પાંચ વર્ષની દીકરીએ પિતાનો ચહેરો પણ નથી જોયો (દીવ)

દીવના જીવીબહેન સોલંકી જણાવે છે:

“મારો દીકરો વિશાલ વર્ષ 2021માં 23 વર્ષનો હતો ત્યારે ઓખાના દરિયામાં માછીમારી કરતી વખતે ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો. બોટ પરત ફેરવતા એન્જિન બંધ પડી જતાં તે પકડાઈ ગયો. આ દરમિયાન તેની પત્ની ગર્ભવતી હતી. આજે તેની દીકરી 5 વર્ષની થઈ ગઈ પણ જન્મી ત્યારથી પિતાનો ચહેરો જોયો નથી. બીજા બાળકોને પિતા સાથે જોઈ તે દરરોજ સવાલ પૂછે છે કે પપ્પા ક્યારે આવશે?”

2. પુત્રની કાંધ પણ નસીબ ન થઈ (દીવ)

જાગૃતિબહેન સોલંકી પોતાની વેદના ઠાલવતા કહે છે:

“મારા દિયર પહેલી વખત માછીમારી માટે ગયા હતા અને 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે. મારા પતિના અવસાન પછી બીજો દીકરો પણ કેદ થતાં સાસુ આઘાતમાં સરી પડ્યા. પુત્રના વિરહમાં પથારીવશ થઈ આખરે ચાર મહિના પહેલાં તેઓ મૃત્યુ પામ્યા, પણ પુત્રની કાંધ પણ તેમને નસીબ ન થઈ.”

3. CA બનવાનું સપનું છોડી નોકરી કરવી પડી (ગીર સોમનાથ)

ઉનાના જિગ્નેશ રાઠોડ જણાવે છે:

“પાંચ વર્ષ પહેલાં હું B.Com માં હતો ત્યારે પિતા સમુદ્રમાં પકડાઈ ગયા. ઘરનો મોટો દીકરો હોવાથી પરિવારની જવાબદારી આવતા સીએ બનવાનું સપનું અને ભણતર બંને છોડી નોકરી કરવી પડી. છેલ્લે જેલમાંથી પરત આવેલા માછીમારો સાથે પિતાએ પત્ર મોકલ્યો હતો, જેને વારંવાર વાંચીને તેમની હૂંફ અનુભવું છું.”

પાકિસ્તાની જેલમાં કેવી સ્થિતિ છે?

જેલમાં માછીમારોને આખા દિવસમાં માત્ર 5 રોટલી અને શાક આપવામાં આવે છે, જેના સહારે 24 કલાક કાઢવાના હોય છે. આ સિવાય માછીમારો ખેતી કે સુથારી કામ કરીને મામૂલી વેતન મેળવે છે અને તેમાંથી રેશન ખરીદી પોતે રસોઈ બનાવીને ગુજરાન ચલાવે છે.

સરકાર સમક્ષ પરિવારોની મુખ્ય માંગણીઓ

  1. ‘નો અરેસ્ટ પોલિસી’ અમલમાં મૂકવી: વર્ષ 2008ના કરાર પ્રમાણે ભૂલથી સરહદ ઓળંગનાર માછીમારો માટે આ નીતિ લાગુ કરવી.

  2. માસિક સહાયમાં વધારો: કેદ માછીમારોના પરિવારોને મળતી સહાય ₹9,000 થી વધારીને ₹15,000 કરવી.

  3. પત્રવ્યવહાર: જેલમાં બંધ માછીમારો સાથે પત્રવ્યવહાર ફરી શરૂ કરાવવો.

  4. તબીબી સેવાઓ: કેદ માછીમારોની સારવાર માટે ભારતમાંથી ડૉક્ટરોની ટીમ મોકલવી.

લોકોમાં ભારે કચવાટ છે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ અને વેપારની વાતો થાય છે, પરંતુ જેલમાં સબડતા નિર્દોષ માછીમારોને મુક્ત કરાવવાની વાત આવે ત્યારે વિદેશ મંત્રાલયની કામગીરી નબળી પૂરવાર થાય છે.


સંબંધિત પોસ્ટ્સ

સોનમ વાંગચુકનો કેન્દ્ર સરકારને પત્ર: ‘ખાતરી મળશે તો હું અનશન પૂર્ણ કરીશ’

praxpatel

Project 75 India: ભારતીય નૌસેનાની તાકાત વધશે, ₹70,000 કરોડની સબમરીન ડીલથી ચીન-પાકને લાગશે ઝટકો

praxpatel

લોર્ડ્સ વનડે પહેલા ભારતની સ્ક્વોડમાં મોટો ફેરફાર: વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આ ખેલાડીની એન્ટ્રી

praxpatel