ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર એસ. શ્રીસંતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા શ્રીસંત પર લગાવવામાં આવેલો 3 વર્ષનો પ્રતિબંધ સત્તાવાર રીતે હટાવી લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.
સંજુ સેમસનની પસંદગીના મામલે શ્રીસંતે જાહેરમાં KCAની ટીકા કરી હતી. આ કારણે એસોસિએશને તેની સામે કડક કાર્યવાહી કરીને 3 વર્ષનો બેન લગાવ્યો હતો. 1 જુલાઈના રોજ KCAની સ્પેશિયલ જનરલ બોડી મીટિંગમાં શ્રીસંતે પોતાના નિવેદન બદલ અફસોસ વ્યક્ત કરીને બિનશરતી માફી માંગી હતી, ત્યારબાદ આ બેન હટાવવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો.
KCA એ જારી કર્યું સત્તાવાર નિવેદન
કેરળ ક્રિકેટ એસોસિએશને પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, શ્રીસંતે એસોસિએશન વિરુદ્ધ આપેલા નિવેદનો બદલ ખેદ વ્યક્ત કર્યો છે. તેણે લેખિતમાં બિનશરતી માફી માંગી હોવાથી તેનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવામાં આવે છે. જોકે, એસોસિએશને તેને કડક ચેતવણી પણ આપી છે કે ભવિષ્યમાં જો આવું વર્તન ફરી જોવા મળશે તો વધુ સખત શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
શ્રીસંતને હવે કયો મોટો ફાયદો થશે?
-
KCLમાં પરત ફરશે: પ્રતિબંધ હટ્યા બાદ શ્રીસંત હવે કેરળ ક્રિકેટ લીગ (KCL) માં ફરી સક્રિય થઈ શકશે.
-
ફ્રેન્ચાઈઝી માલિક તરીકે ભૂમિકા: તે હવે KCLની ટીમ ‘એરીઝ કોલ્લમ સેલર્સ’ (Aries Kollam Sailors) ના સહ-માલિક (Co-owner) તરીકે પોતાની ભૂમિકા ભજવવા માટે સ્વતંત્ર છે. બેન લાગવાના કારણે તેને આ જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદ ગયા KCL સિઝન પહેલા શરૂ થયો હતો. કેરળની વિજય હજારે ટ્રોફી ટીમ અને ભારતની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી સંજુ સેમસનને બહાર રાખવામાં આવ્યો હતો. આ બાબતથી નારાજ થઈને શ્રીસંતે સોશિયલ મીડિયા અને જાહેર મંચ પર KCAના વહીવટની આકરી આલોચના કરી હતી. KCA નું માનવું હતું કે શ્રીસંતના આવા નિવેદનોથી એસોસિએશનની છબી ખરડાઈ છે, જેના કારણે તેના પર 3 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
