Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

‘સરકાર ગમે તેની હોય, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ ખોટો’: JPSC આંદોલન પર લાઠીચાર્જ અંગે રાહુલ ગાંધીનું નિવેદન

'સરકાર ગમે તેની હોય, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ ખોટો': JPSC આંદોલન પર લાઠીચાર્જ અંગે રાહુલ ગાંધીનું નિવેદન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને સખત શબ્દોમાં ખોટો ઠેરવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને કોઈપણ સમસ્યાનો ઉકેલ માત્ર વાટાઘાટોથી જ નીકળી શકે છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ઝારખંડ સરકારે આ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળવી જોઈએ અને તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.”

‘અમે વિદ્યાર્થીઓ સામેની હિંસાના વિરોધમાં છીએ’

રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાર્થીઓના આંદોલન દરમિયાન થયેલા લાઠીચાર્જ અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “ઝારખંડના વિદ્યાર્થીઓ માટે મારો સંદેશ સ્પષ્ટ છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો સામેની કોઈપણ પ્રકારની હિંસાની અમે સખત નિંદા કરીએ છીએ. આ ઘટના ક્યાં બની રહી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે આવા પગલાની સલાહ આપતા નથી કે તેનું સમર્થન કરતા નથી. જ્યાં સુધી પ્રદર્શન શાંતિપૂર્ણ હોય, ત્યાં સુધી તેના પર હિંસક કાર્યવાહી કરવાનો અમે વિરોધ કરીએ છીએ.”

જંતર-મંતર આંદોલન અને સગીરો પર હિંસા અંગે કેન્દ્ર પર પ્રહાર

દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂતકાળમાં થયેલા વિદ્યાર્થી આંદોલનનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે, “પેલેટ ગન, ખીલા જડેલી લાઠીઓ અને ટીયર ગેસના ગોળા છોડીને માત્ર પોતાના ભવિષ્ય અંગે સવાલો પૂછી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલી વિદ્યાર્થીનીઓને પણ દોડાવી-દોડાવીને મારી હતી. કેટલાક સગીરોના હાડકાં પણ ભાંગી ગયા હતા. મોદી સરકાર દેશના યુવાનોના સવાલોનો જવાબ આવી બર્બરતાથી આપે છે.”

ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “લગભગ 20 દિવસ વિતી ગયા છે, પરંતુ ગૃહમંત્રી આ ગંભીર મુદ્દા પર જવાબ આપવા માટે સંસદમાં પણ આવ્યા નથી. ચર્ચા માટે વિપક્ષના તમામ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યા છે. તેમની આ મૌન સંમતિ હિંસાને પ્રોત્સાહન આપે છે. અમે સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરીએ છીએ.”

રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, “વિદ્યાર્થીઓ પર ગોળીઓ અને લાઠીઓ ચલાવવાનો આદેશ ગૃહ મંત્રાલય તરફથી આવ્યો હતો કે નહીં, તે અંગે ગૃહમંત્રીએ સંસદમાં આવીને દેશ સમક્ષ સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. પરંતુ તેમની પાસે સંસદમાં આપણી સામે આવીને ઊભા રહેવાની હિંમત નથી.”


સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel

બાંગ્લાદેશની અમેરિકાને અપીલ: ‘ભારતની જેમ અમને પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા દો’

praxpatel

ભારતમાં પહેલીવાર યોજાશે બિગ બેશ લીગની મેચ, પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાથી કરી મોટી જાહેરાત

praxpatel