વર્ષ 2019માં થયેલા પુલવામા આતંકી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) માં હત્યા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ટાયસન બિશ્નોઈએ પોસ્ટ કરીને આ હત્યાની જવાબદારી લીધી છે. જોકે, આ દાવાની હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
કોણ હતો આતંકી હમઝા બુરહાન?
હમઝા બુરહાન ઉર્ફે અર્જુમંદ ગુલઝાર ડાર જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ખરબતપોરાનો રહેવાસી હતો. સરકારી રેકોર્ડ મુજબ, તે વર્ષ 2017માં અભ્યાસના બહાને પાકિસ્તાન ગયો હતો. ત્યાં ગયા પછી તે પ્રતિબંધિત આતંકી સંગઠન ‘અલ-બદ્ર’ માં જોડાઈ ગયો અને કમાન્ડર બની ગયો હતો. ભારત સરકારે વર્ષ 2022માં તેને UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.
પુલવામા હુમલો: જેણે દેશને હચમચાવી દીધો હતો
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર CRPF જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલી એક કારે જવાનોની બસને ટક્કર મારી હતી. આ ભયાનક બ્લાસ્ટમાં CRPF ના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી, અને આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડાર હતો. ભારત સરકારે આ હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.
તપાસ એજન્સીઓનું શું કહેવું છે?
ભારતીય તપાસ એજન્સીઓએ પુલવામા હુમલાના કેસમાં 19 આરોપીઓની ઓળખ કરી હતી. તેમાંથી કેટલાક એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. હમઝા બુરહાન આ કાવતરાનો મુખ્ય ચહેરો હતો. પાકિસ્તાન અને PoK માં છેલ્લા કેટલાક સમયથી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની રહસ્યમય રીતે હત્યાઓ થઈ રહી છે, જેમાં હવે હમઝાનું નામ પણ જોડાઈ ગયું છે.
