સાણંદ શહેરના કે.ડી. ફાર્મ ખાતે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ફાર્મના માલિક નિખિલ પટેલ અને અન્ય બે વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો..હુમલામાં ફાર્મ માલિક નિખિલ પટેલ સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નિખિલ પટેલે હોસ્પિટલમાં આપેલા નિવેદન મુજબ, ગઈકાલે તેમના ફાર્મ હાઉસ પર લગ્ન પ્રસંગનું આયોજન હતું. આ દરમિયાન તેમના સ્ટાફના એક માણસે રૂમ સાફ કરવા બાબતે સૂચના આપી હતી, જેના કારણે બંને સ્ટાફના પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.

મામલો વણસતા ફાર્મ માલિક નિખિલ પટેલ પોતે ત્યાં પહોંચ્યા અને સમજાવટથી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અડધાથી એક કલાક બાદ બીજા સ્ટાફે બહારથી અન્ય માણસોનું ટોળું બોલાવી નિખિલ પટેલ સહિત અન્ય બે વ્યક્તિ પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો
આ હુમલામાં માજીદ અને સાહિલ નામના વ્યક્તિઓ મુખ્ય સૂત્રધાર હોવાનું જણાવાયું છે. ફરિયાદી નિખિલ પટેલના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર વેઈટર સ્ટાફ મૂળ કાશ્મીરનો હોવાની શક્યતા છે..સાણંદ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધી શંકાસ્પદ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
