મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની છે. ઈઝરાયલની વાયુસેનાએ ગઈકાલે મધરાતે ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આ હુમલામાં ઈરાનના ટોચના નેતા અલી લારિજાની અને શક્તિશાળી બાસિજ દળના કમાન્ડર માર્યા ગયા હોવાનો ઈઝરાયલે દાવો કર્યો છે.
તેહરાનમાં ઈઝરાયલની ટાર્ગેટેડ સ્ટ્રાઈક
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સચોટ ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે.
-
મુખ્ય ટાર્ગેટ: તેહરાનનું મધ્ય ભાગ અને સુરક્ષિત ગણાતા ‘સેફ હાઉસ’.
-
મોટા સમાચાર: ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની આ હુમલામાં ખતમ થયા છે.
-
બીજું મોટું નામ: છેલ્લા 6 વર્ષથી બાસિજ યુનિટ સંભાળતા ગુલામ રઝા સુલેમાની પણ માર્યા ગયા છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનું આક્રમક નિવેદન
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “લારિજાની અને બાસિજ કમાન્ડર હવે નરકમાં પહોંચી ગયા છે.” કાત્ઝે આ નેતાઓને ‘એક્સિસ ઓફ એવિલ’ના સભ્યો ગણાવ્યા હતા.
નોંધ: અલી લારિજાની ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈ બાદ અત્યંત પ્રભાવશાળી નેતા માનવામાં આવતા હતા. તેમના જવાથી ઈરાનનું નેતૃત્વ નબળું પડવાની શક્યતા છે.
કોણ હતા કમાન્ડર ગુલામ રઝા સુલેમાની?
ગુલામ રઝા સુલેમાની ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) ના મજબૂત સ્તંભ હતા.
-
તેઓ ‘બાસિજ દળ’ના વડા હતા.
-
ઈરાનમાં થતા આંતરિક વિરોધ પ્રદર્શનોને દબાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.
-
સામાન્ય નાગરિકો પર હિંસા અને ધરપકડના અભિયાનો માટે તેઓ કુખ્યાત હતા.
આતંકી સંગઠનો પર પણ પ્રહાર
ઈઝરાયલી સેનાએ માત્ર ઈરાની નેતાઓ જ નહીં, પણ તેહરાનમાં છુપાયેલા આતંકીઓને પણ નિશાન બનાવ્યા છે. પેલેસ્ટાઈની ઇસ્લામિક જેહાદના નેતા અક્રમ અલ-અજૌરી ના ઠેકાણાઓ પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે.
શું હવે મહાયુદ્ધ થશે?
IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે સંકેત આપ્યો છે કે આ કાર્યવાહીથી ભવિષ્યના મિશન પર મોટી અસર પડશે. ઈરાન આ હુમલાનો કેવો વળતો જવાબ આપે છે, તેના પર આખી દુનિયાની નજર છે. પશ્ચિમ એશિયામાં હવે ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
