‘બનેગી અપની બાત’ અને ‘સોનપરી’ જેવા ફેમસ ટીવી શોમાં કામ કરી ચૂકેલા સિનિયર એક્ટ્રેસ અનીતા કંવલ હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં આવ્યા છે. સિદ્ધાર્થ કન્નન સાથેના પોડકાસ્ટમાં તેમણે બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાક કડવા સત્ય સામે રાખ્યા છે. તેમણે જણાવ્યું કે મોટા કલાકારોની મોંઘી ફી અને નખરાંના કારણે નાના કલાકારોનું બજેટ કાપી નાખવામાં આવે છે.
મોટા સ્ટાર્સ પ્રોડ્યુસરનું બજેટ ખાઈ જાય છે
અનીતા કંવલે એક કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, “મોટા કલાકારો પ્રોડ્યુસર્સનું મોટાભાગનું બજેટ ખાઈ જાય છે. શૂટિંગ સેટ પર ૭-૭ વેનિટી વેન અને આસપાસ ૫૦ લોકોનો સ્ટાફ રાખવામાં આવે છે. આ ફાલતુ ખર્ચના કારણે અમારા જેવા કલાકારો માટે કંઈ બચતું જ નથી. રૂ. ૨૫૦ કરોડના બજેટવાળી ફિલ્મમાં પણ કેરેક્ટર આર્ટિસ્ટના ભાગના પૈસા કાપી લેવાય છે.”
ઓડિશનમાં રિજેક્શન અને કામ ન મળવાનું દર્દ
અનીતાએ ઓડિશનનો એક કિસ્સો શેર કરતા કહ્યું, “એક આસિસ્ટન્ટે મને ઓડિશન વખતે પોતાનો પરિચય આપવા કહ્યું. મેં તેને કહ્યું કે હું અનીતા કંવલ છું અને તમે લોકો જન્મ્યા પણ નહોતા ત્યારથી હું એક્ટિંગ કરું છું. આ સાંભળીને બધા શાંત થઈ ગયા, પણ મને એ રોલ ન મળ્યો.”
તેમણે આગળ કહ્યું, “મને ટીવી પર કામ કર્યાને આઠ વર્ષ થઈ ગયા છે. છતાં લોકો કહે છે કે મારો ચહેરો ટીવી પર બહુ દેખાઈ ચૂક્યો છે. બીજી તરફ OTT પ્લેટફોર્મ પર દરેક પ્રોજેક્ટમાં એ જ કલાકારો વારંવાર જોવા મળે છે, તેમને કોઈ ઓવરએક્સપોઝ્ડ નથી કહેતું. કદાચ મારો સમય ખરાબ ચાલી રહ્યો છે.”
‘મને એમ થાય છે કે હું જીવું જ કેમ છું?’
પોતાના લાંબા કરિયર અને અત્યારની પરિસ્થિતિની સરખામણી કરતા અનીતા ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે કહ્યું, “એક સમય હતો જ્યારે હું એકસાથે ૧૩ શોમાં કામ કરતી હતી. આજે જ્યારે લોકો તમને ભૂલી જાય ત્યારે બહુ દુઃખ થાય છે. ત્રણ દિવસ પહેલા જ મેં મારી દીકરીને કહ્યું કે, હું આખરે જીવું જ કેમ છું? મેં આ ઈન્ડસ્ટ્રીને ઘણું બધું આપ્યું છે, દરેક પ્રકારના રોલ કર્યા છે અને એવોર્ડ્સ પણ જીત્યા છે. તો આમાં વાંક મારો છે કે ઈન્ડસ્ટ્રીનો?”
અનીતા કંવલ ‘બનેગી અપની બાત’, ‘સોનપરી’, ‘સસુરાલ ગેંદા ફૂલ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવા લોકપ્રિય શોમાં પોતાની એક્ટિંગનો જાદુ વિખેરી ચૂક્યા છે.
