ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. હાલમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ઉમેદવારો મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે.
AIMIM: નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ
રાજ્ય ચૂંટણી પંચને એક પત્ર લખીને AIMIMના તમામ ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ, AIMIM પક્ષને હજુ સુધી રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ નથી. ચૂંટણી નિયમો મુજબ, જે પક્ષને રાષ્ટ્રીય માન્યતા ન હોય, તેના ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ખાસ નિયમોનું પાલન કરવું પડે છે.
શું છે 10 ટેકેદારોનો નિયમ?
ચૂંટણીના નિયમો અનુસાર, બિન-માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોએ ફોર્મમાં 10 ટેકેદારો અને 10 દરખાસ્ત મૂકનારની વિગતો આપવી ફરજિયાત છે. આક્ષેપ છે કે AIMIM ના મોટાભાગના ઉમેદવારોએ માત્ર એક ટેકેદાર અને એક દરખાસ્ત મૂકનારનો ઉલ્લેખ કર્યો છે. આ બાબત ચૂંટણીના નિયમોની વિરુદ્ધ હોવાનું પત્રમાં જણાવાયું છે.
હવે જોવાનું એ રહેશે કે રાજ્ય ચૂંટણી પંચ આ ફરિયાદ પર શું પગલાં લે છે. જો આ આક્ષેપો સાચા ઠરશે, તો અનેક ઉમેદવારોના ફોર્મ રદ થઈ શકે છે.
