બિહારના પૂર્ણિયામાં એક બેંકકર્મીએ પોતાના બાળકોની સામે જ શિક્ષક પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના બાદ 9 વર્ષના પુત્રએ તેની માતાની હત્યાની જાણ પોતાના મામાને આપી અને ત્યારબાદ પડોશીઓને જાણ કરવામાં આવી. મૃતકની ઓળખ શ્રીનગર બ્લોકની હાઇસ્કૂલમાં ફરજ બજાવતી 34 વર્ષીય શિક્ષિકા શાલિની કુમારી તરીકે થઈ છે, જ્યારે આરોપી પતિ રાજકુમાર યાદવ પૂર્ણિયાની જ કો-ઓપરેટિવ બેંકમાં કાર્યરત છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના પૂર્ણિયા જિલ્લા મુખ્યાલયના ખજાનચી હાટ પોલીસ સ્ટેશન વિસ્તારના રેણુ નગરની છે. સ્વજનોના જણાવ્યા અનુસાર, શાલિની અને રાજકુમાર વચ્ચે અવારનવાર વિવિધ બાબતોને લઈને ઝઘડો થતો હતો. રવિવારે સાંજે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાનું મુખ્ય કારણ બે કઠ્ઠા જમીન હોવાનું કહેવાય છે, જે રાજકુમાર અને શાલિનીએ મળીને ખરીદી હતી. રાજકુમાર આ જમીનમાં રોકેલા પોતાના હિસ્સાના પૈસા શાલિની પાસે પાછા માગી રહ્યો હતો, જ્યારે શાલિની તે રકમ આપવા માટે અસમર્થતા દર્શાવતી હતી.
રવિવારે સાંજે બંને વચ્ચે વિવાદ વધી જતાં રાજકુમારે બાળકો સામે જ શાલિનીને ઢોર માર માર્યો હતો. આ પછી રાજકુમાર ગુસ્સામાં ઘરની બહાર જતો રહ્યો. પ્રત્યક્ષદર્શી મોટા પુત્રએ જણાવ્યું કે જતી વખતે પપ્પાએ કહ્યું હતું કે, “આજે વાર્તા જ પૂરી કરી દઉં છું.”
ત્યારબાદ રાત્રે લગભગ 8 વાગ્યા પછી જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે બાળકો ઘરમાં ભણી રહ્યા હતા અને શાલિની રસોઈ બનાવી રહી હતી. રાજકુમારે પુત્રની સામે જ શાલિનીને ગોળી મારી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો.
વીડિયો કોલ પર ભાઈને કહ્યું- ‘હવે શું કરીશું, મને ગોળી મારી દીધી છે’
ઘટના બાદ પુત્રએ પોતાના મામા વિક્રમ આનંદને વીડિયો કોલ કરીને જણાવ્યું કે, “પપ્પાએ મમ્મીને ગોળી મારી દીધી છે.” તે સમયે શાલિની જમીન પર પડી હતી અને દર્દથી કણસતા પોતાના ભાઈને કહ્યું, “હવે શું કરીશું, મને ગોળી મારી દીધી છે.”
આ ઘટના અંગે મૃતકના મામા ગૌરી શંકરે જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઘરગથ્થુ વિવાદ થયો હતો. આ વિવાદમાં પતિએ પત્નીના છાતીના ભાગે ગોળી મારી દીધી. તે સમયે તેમના 4 વર્ષ અને 9 વર્ષના બે બાળકો પણ ઘરમાં હાજર હતા. ગોળી માર્યા બાદ પતિ રાજકુમાર યાદવ ઘર છોડીને ભાગી ગયો હતો. પરિજનો અને આસપાસના લોકો ઉતાવળમાં શાલિનીને GMCH હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસની કાર્યવાહી
બીજી તરફ સદર SDPO અભિનવ પરાશરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ કૌટુંબિક વિવાદમાં હત્યાનો મામલો હોવાનું જણાય છે. ઘટનાસ્થળેથી કારતૂસનું ખોખું પણ મળી આવ્યું છે. જોકે આરોપી પતિ હજુ પણ ફરાર છે. તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. આ સાથે તેના બેંક એકાઉન્ટ અને નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ કરવામાં આવશે.
દરમિયાન, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના દુર્ગાપુરમાં સોમવારે મોડી સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં એક પિતાએ પોતાના જ 2 અબોધ પુત્રોની ગરદન પર બ્લેડ જેવા ધારદાર હથિયારથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 7 વર્ષના નાના પુત્ર દેવાંશનું મોત નીપજ્યું હતું.
