મહેસાણા જિલ્લામાં આવેલા હીરપુરા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. બેરેજની સલામતી અને જળસ્તર જાળવી રાખવા વહીવટી તંત્ર દ્વારા વધારાનું પાણી છોડવામાં આવશે. આ અંગે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે.
ઉપરવાસમાં વરસાદથી જળસ્તરમાં સતત વધારો
ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ૨૩ જુલાઈથી બેરેજમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.
હાલમાં હીરપુરા બેરેજમાં અંદાજે 900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. બેરેજની માળખાકીય સુરક્ષા અને યોગ્ય નિયંત્રણ માટે હીરપુરા બેરેજમાંથી પાણી છોડવું જરૂરી બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
બે જિલ્લાના આ 8 ગામોના લોકોને એલર્ટ કરાયા
સંભવિત જળ પ્રવાહને ધ્યાનમાં રાખીને મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના 8 ગામોને ચેતવણી આપવામાં આવી છે:
1. વિજાપુર તાલુકો (મહેસાણા):
-
હીરપુરા
-
ગણેશપુરા
-
જુનાસંઘપુર
-
ધનપુરા
2. હિંમતનગર તાલુકો (સાબરકાંઠા):
-
દેરોલ
-
સરોલી
-
ગેડ
-
વાગપુર
સંબંધિત વિસ્તારના મામલતદાર અને મેજિસ્ટ્રેટોને ગ્રામ્ય સ્તરે જરૂરી પગલાં લેવા આદેશ અપાયા છે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા
સ્થાનિક નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે:
-
નદીપટમાં જવાની મનાઈ: સ્થાનિક રહીશો અને ખેડૂતોને નદીના પટમાં ન જવાની અપીલ કરાઈ છે.
-
પશુઓની સુરક્ષા: માલધારીઓએ પોતાના પશુઓને નદી તરફ ન લઈ જવા.
-
જોખમી પ્રવૃત્તિઓ પર રોક: નદીમાં નાહવા, કપડાં ધોવા કે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હીરપુરા બેરેજમાંથી પાણી છોડાવાના કારણે તમામ નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
