સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે ભયનો માહોલ છે. હિંમતનગરમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ એક માસૂમ બાળકનું મોત થયું છે. આ સાથે જ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. હાલ એક બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં 7 બાળકો દાખલ હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 26 જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણોવાળા 7 બાળકોને દાખલ કરાયા હતા. આ બાળકોમાંથી 10 જુલાઈની મોડી રાત્રે વધુ એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે એક બાળક સાજું થતાં તેને રજા આપવામાં આવી છે.
1 બાળકની હાલત ગંભીર, વેન્ટિલેટર પર
હોસ્પિટલમાં દાખલ બાળકોમાંથી હાલ 1 બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. તબીબોની ખાસ ટીમ આ બાળકનું સતત મોનિટરિંગ કરી રહી છે. સાબરકાંઠા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને રાજસ્થાનમાં પણ આ વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા છે.
આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: ડસ્ટિંગ કામગીરી શરૂ
કેસ વધતા જ સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પોશીના વિસ્તારના દેમતી ગામ અને મગરીફરી વિસ્તારમાં આરોગ્ય ટીમો મોકલવામાં આવી છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના 46 ઘરોમાં ડસ્ટિંગ અને ફોકલ સ્પ્રેઇંગની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે.
તબીબોની મહત્વની સલાહ: બાળકોમાં અચાનક તાવ અને ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો વાલીઓએ મોડું કર્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો. ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ અવશ્ય કરવો.
