ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે હજારો શિક્ષકોએ મોરચો માંડ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે TET (Teacher Eligibility Test) પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં રાજ્યભરના શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ગુજરાતના ખૂણે-ખૂણેથી ઉમટ્યા શિક્ષકો
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત તમામ મોટા શહેરોમાંથી હજારો શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે. શિક્ષકોએ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શું છે શિક્ષકોની મુખ્ય માંગણીઓ?
આંદોલન કરી રહેલા શિક્ષક સંગઠનોએ સરકાર સામે મુખ્ય 4 માંગણીઓ મૂકી છે:
-
TET માંથી મુક્તિ: વર્ષ 2010 પહેલાં નોકરીમાં લાગેલા અનુભવી શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે.
-
જૂની પેન્શન યોજના: 1લી એપ્રિલ 2005 પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS) નો લાભ મળે.
-
ગ્રેડ પે માં સુધારો: ધોરણ 6 થી 8 ના શિક્ષકોની જવાબદારી મુજબ તેમને વધુ ગ્રેડ પે આપવામાં આવે.
-
વધારાનો ચાર્જ રદ કરો: HTAT આચાર્યોને અન્ય શાળાઓનો જે વધારાનો ચાર્જ સોંપાયો છે, તે નિર્ણય સરકાર પરત ખેંચે.
દિલ્હી સુધી આંદોલન કરવાની ચીમકી
શિક્ષક મહાસંઘના આગેવાનોએ સરકારને ખુલ્લી ચીમકી આપી છે. જો સરકાર આ પડતર માંગણીઓ પર હકારાત્મક નિર્ણય નહીં લે, તો લડત વધુ ઉગ્ર બનશે. આગામી દિવસોમાં ગુજરાતના શિક્ષકો પોતાની માંગણીઓ માટે દિલ્હી જઈને રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરશે.
