કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શનિવારે એક મહત્વની જાહેરાત કરી છે. સંસદનું આગામી ચોમાસુ સત્ર ૨૦ જુલાઈ, ૨૦૨૬ થી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ચાલશે. ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) બોલાવવાની મંજૂરી આપી દીધી છે. આ સત્ર દરમિયાન રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
સત્ર ટૂંકું પણ હંગામેદાર રહેવાની શક્યતા
આ વર્ષે ચોમાસુ સત્ર કુલ ૨૪ દિવસનું રહેશે. વર્ષ ૨૦૨૫ માં ચોમાસુ સત્ર ૩૨ દિવસ ચાલ્યું હતું, જેની સરખામણીએ આ વખતે સત્ર થોડું નાનું છે.
આ સત્રમાં સરકાર દ્વારા કેટલાક મહત્વના બિલો રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ વિપક્ષ પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. વિપક્ષ દ્વારા વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક અને રામ મંદિર ચઢાવા ચોરી જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવીને ગૃહમાં ભારે હંગામો મચાવવામાં આવી શકે છે.
TMC અને શિવસેના (UBT) માં ભંગાણ બાદ પ્રથમ સત્ર
પાર્ટીઓમાં મોટી આંતરિક ઉથલપાથલ બાદ આ સંસદનું પ્રથમ સત્ર હશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMC ના ૨૮ માંથી ૨૦ લોકસભા સાંસદોએ બળવો કર્યો છે. તેઓ શાસક પક્ષ ભાજપ (BJP) ની આગેવાની હેઠળના એનડીએ (NDA) ને સમર્થન આપી રહ્યા છે.
આવી જ રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના ૯ માંથી ૬ સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. આ બળવાખોર સાંસદોને અલગ જૂથ તરીકે માન્યતા આપવા અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાના અંતિમ નિર્ણયની હજુ રાહ જોવાઈ રહી છે. જોકે આનાથી લોકસભામાં એનડીએનું સંખ્યાબળ વધુ મજબૂત થયું છે.
રાજ્યસભામાં પણ એનડીએની સ્થિતિ મજબૂત
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પણ એનડીએ (NDA) ના સભ્યોની સંખ્યામાં વધારો થયો છે.
આ અગાઉનું બજેટ સત્ર ઘણું નિરાશાજનક રહ્યું હતું અને સરકાર બંધારણ સુધારા બિલ લોકસભામાં પાસ કરાવી શકી નહોતી. કેટલાક અહેવાલો મુજબ સરકાર આ ચોમાસુ સત્રમાં તે બિલ ફરીથી રજૂ કરી શકે છે, જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
