પંજાબ કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ન બનાવવામાં આવતા નારાજ પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પોતાની જ પાર્ટીના હાઈકમાન્ડ સામે મોરચો ખોલી દીધો છે. આ બગાવત બાદ પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે અને કેટલાક મોટા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામું પણ આપી શકે છે.
ચરણજીત ચન્ની જૂથે સ્પષ્ટ કરી દીધું છે કે તેમને વર્તમાન પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગ મંજૂર નથી. આ જૂથની માંગ છે કે હાઈકમાન્ડ પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે.
ચન્નીના ઘરે 65 કોંગ્રેસી નેતાઓની ગુપ્ત બેઠક
આ વિવાદ વચ્ચે ચરણજીત ચન્નીના મોરિંડા સ્થિત નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના 65 નેતાઓ એકઠા થયા હતા. જેમાં 5 વર્તમાન ધારાસભ્યો પણ સામેલ હતા:
-
તૃપ્ત રાજીન્દર બાજવા
-
રાણા ગુરજીત સિંહ
-
સુખબીર સિંહ સુખ સરકારીયા
-
લાડી શેરોવાલિયા (શાહકોટ)
-
કુલદીપ સિંહ ધિલ્લો (બરનાલા)
આ સિવાય બેઠકમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોની અને ભારત ભૂષણ આશુ સહિત 15 પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાંસદ મોહમ્મદ સાદિક પણ હાજર રહ્યા હતા. સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ પણ આ બેઠકમાં પહોંચ્યા હતા.
નારાજ નેતાઓની શું છે માંગ?
કોંગ્રેસ હાઈકમાન્ડે તાજેતરમાં જ સંગઠનની પુનઃરચના કરી છે. આ ફેરબદલમાં અમરિંદર સિંહ રાજા વડિંગને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે યથાવત રાખવામાં આવ્યા છે, જેના કારણે આ વિવાદ શરૂ થયો છે.
બેઠક બાદ વરિષ્ઠ નેતા તૃપ્ત રાજિંદર બાજવાએ જણાવ્યું:
“અમારે પાર્ટી હાઈકમાન્ડ સાથે કોઈ સીધો વિવાદ નથી. પરંતુ અમને રાજા વડિંગના નામ સામે કેટલીક આપત્તિઓ છે. અમારા મનમાં નારાજગી અને અસંતોષ છે. અમે ઈચ્છીએ છીએ કે હાઈકમાન્ડ અમારી વાત સાંભળે અને અમારી ફરિયાદોનો ઉકેલ લાવે.”
‘ચન્ની પ્રમુખ નહીં બને તો સરકાર નહીં બને’
બેઠકમાં હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય દર્શન બરારે સીધો ઈશારો કરતા કહ્યું કે, જો ચરણજીત સિંહ ચન્નીને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં પંજાબમાં કોંગ્રેસની સરકાર બનવી અશક્ય છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ પંજાબના આ જૂથને શાંત રાખવા માટે શું પગલાં ભરે છે.
< /p>
