વેસ્ટઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમના ઘણા મહત્વના ખેલાડીઓ ઈજા અને બીમારીના કારણે બહાર થઈ ગયા છે.
હવે સ્થિતિ એવી છે કે શ્રીલંકા પાસે માત્ર 13 ફિટ ખેલાડીઓ બચ્યા છે. તેમાંથી જ તેમણે પ્લેઈંગ-11 પસંદ કરવી પડશે. આ સંકટ વચ્ચે 29 વર્ષના ફાસ્ટ બોલર ઇસિથા વિજેસુંદરા (Isitha Wijesundera) ને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
પથુમ નિસાંકા બીજી ટેસ્ટમાંથી બહાર
શ્રીલંકાની ટીમને સૌથી મોટો ઝટકો ઓપનર પથુમ નિસાંકા (Pathum Nissanka) બહાર થવાથી લાગ્યો છે. તેને કાંડામાં ગંભીર ઈજા થઈ છે.
-
નિસાંકા સર્જરી માટે બ્રિટન રવાના થઈ ગયો છે.
-
તેની જગ્યાએ લાહિરુ ઉદારા બીજી ટેસ્ટમાં ઓપનિંગ કરશે.
-
આ ઈજાના કારણે નિસાંકા આગામી લંકા પ્રીમિયર લીગ (LPL) માંથી પણ બહાર થઈ શકે છે.
બે મુખ્ય ફાસ્ટ બોલરો થયા બહાર
બેટિંગની સાથે શ્રીલંકાની ફાસ્ટ બોલિંગ લાઇન-અપ પણ નબળી પડી ગઈ છે:
-
વિશ્વા ફર્નાન્ડો: પીઠ અને કમરના દુખાવાના કારણે તે બીજી ટેસ્ટ રમી શકશે નહીં.
-
લાહિરુ કુમારા: તે હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે. પ્રથમ ટેસ્ટમાં તે માત્ર એક ઓવર ફેંકીને મેદાનની બહાર જતો રહ્યો હતો.
આ બંને અનુભવી બોલરોના બહાર થવાથી ઇસિથા વિજેસુંદરાનું ટીમમાં રમવાનું લગભગ નક્કી માનવામાં આવે છે.
રમેશ મેન્ડિસ પણ બીમાર
ટીમના ઓફ સ્પિનર રમેશ મેન્ડિસ પણ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ઈન્ફેક્શનના કારણે બીમાર પડ્યા છે. તેથી તે પણ બીજી ટેસ્ટનો ભાગ નહીં બને. તેમની જગ્યાએ સિનિયર સ્પિનર પ્રભાત જયસૂર્યા પ્લેઈંગ-11માં રમતા જોવા મળશે.
શ્રીલંકાનો લક્ષ્ય: ખેલાડીઓની ઈજા વચ્ચે શ્રીલંકાની ટીમ આ મેચ જીતીને સિરીઝ 1-1 થી બરાબર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે, મુખ્ય ખેલાડીઓ વિના આ કામ ઘણું મુશ્કેલ રહેશે.
< /p>
