સોનાના ભાવમાં સતત થતા ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય બજારોમાંથી એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. સોનાના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ હવે ગ્રાહકો મોટો નફો કમાવવા માટે પોતાના ઘરોમાં રાખેલું જૂનું સોનું (Old Gold) વેચી રહ્યા છે. જો તમે પણ તમારા જૂના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક મહત્વની બાબતો જાણી લેવી જરૂરી છે.
લોકો અચાનક કેમ વેચી રહ્યા છે સોનું?
રિપોર્ટ્સ અનુસાર, એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતીય પરિવારોએ બજારમાં આશરે 50 ટન જૂનું સોનું વેચ્યું છે. સોનું વેચવા પાછળના મુખ્ય બે કારણો છે:
-
મોટો નફો કમાવવાની તક: હાલમાં બજારમાં સોનાના રેટ ખૂબ જ ઊંચા છે, જેથી લોકોને સારો નફો મળી રહ્યો છે.
-
ભાવ ઘટવાનો ડર: ભવિષ્યમાં સોનાના ભાવ ઘટવાની આશંકા સેવાઈ રહી છે. બજારના નિષ્ણાતોના મતે સોનાના ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ 1.2 લાખ રૂપિયા સુધી આવી શકે છે. આ ડરના કારણે લોકો દાગીના વેચીને રોકડા (Cash) મેળવી રહ્યા છે.
જૂના સોનાના વેચાણમાં વધારો થવાને કારણે ભારતના ગોલ્ડ રિસાયકલિંગ સેક્ટરને મોટો ફાયદો થઈ રહ્યો છે. જ્વેલર્સ જૂની જ્વેલરી ઓગાળીને નવું સોનું સપ્લાય કરી રહ્યા છે.
શું તમારે સોનું વેચવું જોઈએ કે નહીં?
એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર કિંમતો જોઈને સોનું વેચવાનો નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ તમારી નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
-
જે લોકો પાસે એવા જૂના દાગીના પડ્યા છે જેનો કોઈ ઉપયોગ થતો નથી, તેમના માટે આ નફો મેળવવાની સારી તક છે.
-
સોનું આજે પણ સૌથી સુરક્ષિત અને સર્વશ્રેષ્ઠ રોકાણ (Investment) માનવામાં આવે છે.
ઉતાવળમાં નિર્ણય ન લો, આ વાતોનું રાખો ધ્યાન
જો તમે પણ બીજા લોકાનું જોઈને સોનું વેચવાની ઉતાવળ કરી રહ્યા છો, તો આ નુકસાન થઈ શકે છે:
-
વધુ ભાવનો લાભ ગુમાવવો: જો ભવિષ્યમાં સોનાના ભાવ ફરી વધી જશે, તો અત્યારે સોનું વેચનાર વ્યક્તિને પાછળથી પસ્તાવો થઈ શકે છે.
-
કટોકટીમાં મુશ્કેલી: સોનું સંકટ સમયની સાંકળ ગણાય છે. જો તમે અત્યારે જ બધું સોનું વેચી દેશો, તો ભવિષ્યમાં કોઈ અચાનક મેડિકલ કે આર્થિક ઈમરજન્સી આવી પડે ત્યારે તમારી પાસે કોઈ મજબૂત નાણાકીય સહારો નહીં રહે.
તેથી, કોઈપણ નિર્ણય લેતા પહેલાં બજારની સ્થિતિ સમજો અને વિચારીને જ આગળ વધો.
