કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. આ વખતે વિવાદનું કારણ સાંસદ શશિ થરૂર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવેલા વખાણ છે. તાજેતરમાં G7 સંમેલન દરમિયાન PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં PM મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શશિ થરૂરે પીએમ મોદીના આ વલણનું સમર્થન કર્યું, જે કોંગ્રેસ પક્ષને પસંદ આવ્યું નથી.
પવન ખેડાએ કર્યો આકરો કટાક્ષ
કોંગ્રેસ નેતા પવન ખેડાએ શશિ થરૂરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ખેડાએ કટાક્ષ કરતા કહ્યું કે, થરૂર અવારનવાર પીએમ મોદીના વખાણ કરે છે. તેઓ એવી વાતો પણ સાંભળી લે છે જે મોદીએ ક્યારેય કહી જ નથી.
ખેડાએ ઉમેર્યું કે થરૂરે પીએમ મોદીની એવી કૂટનીતિ સાંભળી લીધી છે, જે સત્તાવાર રેકોર્ડમાં ક્યાંય જોવા મળતી નથી.
શશિ થરૂરનો વળતો પ્રહાર
પવન ખેડાની ટિપ્પણી સામે શશિ થરૂરે પણ મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું મારા નિવેદન પરથી પલટીશ નહીં.”
થરૂરે વળતો જવાબ આપતા કહ્યું કે કેટલાક લોકો માત્ર મીડિયા રિપોર્ટ્સના આધારે આક્ષેપો કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “હું સતત વાંચું છું અને તથ્યો યાદ રાખું છું. આજ સુધી કોઈએ મારા પર ખોટા તથ્યો રજૂ કરવાનો આક્ષેપ કર્યો નથી.”
ગંભીર મુદ્દા પર રાજકારણથી થરૂર નારાજ
શશિ થરૂરે આ વિવાદ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય નાવિકોની સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. તાજેતરમાં જ ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે. આવા સંવેદનશીલ મુદ્દા પર રાજકીય વિવાદ ઊભો કરવો એ આશ્ચર્યજનક છે.
યુદ્ધ દરમિયાન કોઈપણ સેનાએ કોમર્શિયલ જહાજોના નાવિકોને નિશાન ન બનાવવા જોઈએ. કેટલાક લોકોને ચિંતા કરવાના બદલે રાજકારણ રમવામાં વધુ રસ છે.
થરૂરે વાસ્તવમાં શું કહ્યું હતું?
શશિ થરૂરે અગાઉ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ભારતનો પક્ષ ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કર્યો છે. PM મોદીએ ખાનગી અને જાહેર બેઠકોમાં સ્પષ્ટ કર્યું હતું કે કોમર્શિયલ જહાજો પર કામ કરતા નાગરિકો સૈનિકો નથી હોતા. તેથી યુદ્ધ દરમિયાન તેમને ટાર્ગેટ કરવા યોગ્ય નથી. થરૂરના મતે પીએમ મોદીએ આ જ મહત્વનો સંદેશ ટ્રમ્પ સુધી પહોંચાડ્યો હતો.
