તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલી એક સીફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસ ગળતર થયું હતું.
ગેસ ફેલાતાની સાથે જ ફેક્ટરીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શ્રમિકો પોતાનો જીવ બચાવવા બહાર તરફ ભાગવા લાગ્યા હતા. આ ઝેરી ગેસની અસરમાં આવવાથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે.
65થી વધુ કર્મચારીઓ પ્રભાવિત, 10ની હાલત ગંભીર
આ દુર્ઘટનામાં 65થી વધુ કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવી ગયા છે. અસરગ્રસ્તોમાં ઉત્તર ભારતના પરપ્રાંતિય શ્રમિકો પણ સામેલ છે. ગેસના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને બેચેની થવા લાગી હતી.
તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 10 જેટલા શ્રમિકોની હાલત અત્યંત ગંભીર છે અને તેઓ બેભાન અવસ્થામાં છે. કેટલાક દર્દીઓના નાકમાંથી લોહી વહેવાની પણ માહિતી મળી છે.
ત્રણ દર્દીઓને ચેન્નાઈ રિફર કરાયા
સ્થિતિ વધુ બગડતા ત્રણ ગંભીર દર્દીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ, ગેસથી પ્રભાવિત થયેલા લોકોમાં 60 મહિલાઓ અને 4 પુરુષો સામેલ છે. સીફૂડ ફેક્ટરીમાં રેફ્રિજરેશન સિસ્ટમ માટે આ એમોનિયા ગેસનો ઉપયોગ થતો હતો.
ફેક્ટરીના બે માલિકોની અટકાયત અને તપાસ સમિતિ
આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક FIR નોંધીને ફેક્ટરીના બે માલિકોની અટકાયત કરી લીધી છે. મુખ્યમંત્રીએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિને 24 કલાકમાં વચગાળાનો રિપોર્ટ અને આગામી ત્રણ દિવસમાં સંપૂર્ણ વિગતવાર અહેવાલ સોંપવા આદેશ આપવામાં આવ્યો છે.
