NEET ; દેશભરમાં આજે NEET UG ની ફરીથી પરીક્ષા યોજાઈ હતી. ગુજરાતમાં પણ કડક સુરક્ષા વચ્ચે પરીક્ષા લેવામાં આવી. પરંતુ, અમદાવાદના એક પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો છે. શહેરની આર. જે. ટિબ્રવાલ કોલેજ ખાતે ડ્રેસકોડને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. અહીં હિજાબ અને ધાર્મિક કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો સામસામે આવી ગયા હતા.
શું છે સમગ્ર વિવાદ?
પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓના ચેકિંગ દરમિયાન આ વિવાદ શરૂ થયો હતો. ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓના ગળાની કંઠી અને હાથના દોરા કઢાવવામાં આવ્યા હતા.
કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો કે નિયમોનું પક્ષપાતી પાલન થઈ રહ્યું છે. હિન્દુ વિદ્યાર્થીઓની કંઠી ઉતરાવવામાં આવી, તો મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે પ્રવેશ કેમ આપ્યો? વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને બહાર બોલાવીને ફરી હિજાબ પહેરાવવામાં આવ્યો હતો.
VHP અને AIMIM વચ્ચે ઘર્ષણ
આ ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને AIMIM ના કાર્યકરો કોલેજ પહોંચી ગયા હતા. બંને પક્ષો વચ્ચે પહેલા શાબ્દિક યુદ્ધ થયું હતું. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો અને બંને સંગઠનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આના કારણે પરીક્ષા કેન્દ્રની બહાર અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે 3 લોકોની અટકાયત કરી
મામલો બગડતા જ એસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે નિયમભંગ કરવા બદલ 3 લોકોની અટકાયત કરી છે.
તંત્રની શાંતિ જાળવવા અપીલ
હાલમાં પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, હવે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
