સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ ઓમાન પાસે એક ભારતીય જહાજ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પર શું દાવો કરવામાં આવ્યો હતો?
‘India Sentinels’ નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં દાવો કરાયો હતો કે ઓમાન પાસે ‘MT Liaki Freedom’ નામના ટેન્કર પર અમેરિકાએ હુમલો કર્યો છે. આ પોસ્ટમાં કહેવાયું હતું કે હુમલામાં 4 ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે. આ પોસ્ટમાં વિદેશ મંત્રાલય અને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડને પણ ટેગ કરવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયે જાહેર કર્યું સત્ય
વિદેશ મંત્રાલયની ફેક્ટ ચેક યુનિટે આ વાયરલ પોસ્ટને “FAKE” ગણાવી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ‘Liaki Freedom’ પર કોઈ હુમલો થયો નથી અને કોઈ ભારતીય નાવિકનું મોત થયું નથી.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે:
-
અમે ‘Liaki Freedom’ જહાજના કેપ્ટન સાથે સીધી વાત કરી છે.
-
કેપ્ટને પુષ્ટિ કરી છે કે જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
-
સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતી સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે.
મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે સત્તાવાર પુષ્ટિ વિના આવી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો.
અગાઉની ઘટના પર ભારતનો વિરોધ
નોંધનીય છે કે ઓમાનના અખાતમાં અગાઉ બનેલી એક ઘટના અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ‘MT Settebello’ નામના ટેન્કર પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે કડક વિરોધ નોંધાવ્યો છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ જહાજો પર આવા હુમલા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ બાબતે નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસના અધિકારીઓને પણ સમન્સ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં વધતા તણાવને જોતા ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
< /p>
