અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને ઘટાડવા માટે પાકિસ્તાન મધ્યસ્થી બનવા તત્પર છે. ઈસ્લામાબાદમાં યોજાનારી આ હાઈ-પ્રોફાઈલ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ શાંતિ વાર્તાના પરિણામોને લઈને ભારે આશંકાઓ સેવાઈ રહી છે. જો આ વાતચીત નિષ્ફળ જશે, તો પાકિસ્તાન માટે એક મોટું જોખમ ઊભું થઈ શકે છે.
ઈસ્લામાબાદમાં કડક સુરક્ષા અને મધ્યસ્થીનો પ્રયાસ
ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા માટે પાકિસ્તાન નું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. શુક્રવારે ઈસ્લામાબાદમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ બેઠકની તૈયારીઓ કરવામાં આવી હતી.
-
અમેરિકાનું પ્રતિનિધિત્વ: અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી જેડી વેન્સ આ બેઠકમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે.
-
ઈરાનની સ્થિતિ: ઈરાન તરફથી હજુ સુધી કોણ આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે વાર્તા પર આશંકાના વાદળો છવાયા છે.
-
પાકિસ્તાનનું લક્ષ્ય: વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર આ મધ્યસ્થી દ્વારા વૈશ્વિક સ્તરે પોતાની છબી સુધારવા માંગે છે.
એક્સપર્ટ વ્યૂ: પાકિસ્તાન માટે ‘બેધારી તલવાર’
નિષ્ણાતો માને છે કે જો આ વાર્તા ફેલ થશે તો પાકિસ્તાન માટે અસ્તિત્વનું સંકટ ઊભું થઈ શકે છે.
-
વ્યૂહાત્મક મુશ્કેલી: જો પાકિસ્તાન અમેરિકા તરફ ઝૂકશે તો પાડોશી દેશ ઈરાન સાથે સંબંધો બગડશે. જો ઈરાન સાથે રહેશે તો પશ્ચિમી દેશો અને IMF જેવી સંસ્થાઓ પાસેથી મળતી મદદ અટકી શકે છે.
-
ચીન-ઈરાન-રશિયાની ધરી: વાર્તા નિષ્ફળ જવાથી ચીન, ઈરાન અને રશિયાનું જોડાણ વધુ મજબૂત બનશે. પાકિસ્તાને નક્કી કરવું પડશે કે તે આ ધરીમાં જોડાશે કે અમેરિકા સાથે રહેશે. આ સ્થિતિ પાકિસ્તાનની વિદેશ નીતિને નબળી પાડી શકે છે.
આર્થિક તબાહીનો ખતરો
પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી અને દેવાના બોજ હેઠળ દબાયેલા આ દેશ માટે આ યુદ્ધવિરામ ખૂબ જરૂરી છે.
-
તેલની કિંમતોમાં ભડકો: જો સીઝફાયર તૂટે અને ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરી દે, તો તેલની સપ્લાય ખોરવાઈ શકે છે. પાકિસ્તાન પોતાનું 80% તેલ આ માર્ગે મંગાવે છે.
-
મોંઘવારી: જો તેલ મોંઘું થશે તો પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 30% થી 50% સુધી વધી શકે છે, જે સામાન્ય જનતા માટે અસહ્ય હશે.
-
કરજની સમસ્યા: જો મધ્યસ્થી ફેલ થાય તો પાકિસ્તાનને અમેરિકા, UAE કે IMF પાસેથી લોન મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
પાકિસ્તાન ની મંશા અને કૂટનીતિક દાવ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વિનંતી પર તેમણે ઈરાન પરનો હુમલો ટાળ્યો હતો અને બે અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર જાહેર કર્યું હતું. પાકિસ્તાન હવે આ તકનો લાભ ઉઠાવીને પોતાની “આતંકવાદીઓના આશ્રયસ્થાન” તરીકેની છબી ભૂંસીને “શાંતિદૂત” બનવા માંગે છે.
પરંતુ, જો ઈરાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો આ આખી પ્રક્રિયા પાકિસ્તાન માટે ઊંધી પડી શકે છે. સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ કરારોને કારણે પણ પાકિસ્તાને યુદ્ધની સ્થિતિમાં મુશ્કેલી વેઠવી પડી શકે છે.
