ઝારખંડના પાકુડ જિલ્લામાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ ચારિત્ર્ય પર શંકાના કારણે પોતાની પત્ની અને સગીર પુત્રીની નિર્મમ હત્યા કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બેવડી હત્યાકાંડની ઘટના બુધવારે રાત્રે મહેશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ઘટી હતી. આરોપીએ પત્નીની હત્યા કર્યા બાદ તેના શવને ઘરના આંગણામાં જ દફનાવી દીધો હતો. આ ચોંકાવનારા કેસની તપાસ માટે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી છે.
પત્નીની હત્યા કરી લાશ દફનાવી, પછી પોલીસ સમક્ષ નાટક કર્યું
પોલીસ અધિક્ષક (SP) અનુદીપ સિંહે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ગામમાં પહોંચી હતી. જ્યાં ઘરના આંગણામાંથી 12 વર્ષની દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પુત્રીની લાશ મળ્યા બાદ પાપી પિતાએ પોલીસને ગુમરાહ કરવાનું નાટક શરૂ કર્યું હતું. તેણે પોલીસને જણાવ્યું કે તેની 40 વર્ષીય પત્ની ક્યાંક ગુમ થઈ ગઈ છે. પત્નીની શોધખોળ માટે પોલીસે તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી.
કડકાઈથી પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલ્યો
SIT ની ટીમે સ્થાનિક ગ્રામજનો અને શંકાસ્પદ પતિની સઘન પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની કડક પૂછપરછ સામે આરોપી વધુ સમય ટકી શક્યો નહીં અને તેણે પત્ની તથા પુત્રી બંનેની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી. આરોપીએ જણાવ્યું કે તેને પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. આથી તેણે પત્નીને પથ્થરથી કચડીને મારી નાખી અને લાશ દફનાવી દીધી. તે જ સમયે, આ ગુનાની સાક્ષી બનેલી 12 વર્ષની માસૂમ દીકરીનું પણ તેણે ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું.
મેજિસ્ટ્રેટની હાજરીમાં લાશ બહાર કઢાઈ, પુરાવા એકત્ર કરાયા
આરોપીની કબૂલાત બાદ કોર્ટના મેજિસ્ટ્રેટની હાજરીમાં આંગણામાં ખોદકામ કરીને પત્નીના શવને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ખાડો ખોદવા માટે વપરાયેલો પાવડો, લોહીથી ખરડાયેલો ગમછો અને માટીના નમૂના એકત્ર કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે.
