બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટે ફેન્સની ચિંતા વધારી દીધી છે. એક્ટ્રેસે અચાનક જ ઓનલાઇન દુનિયાથી દૂરી બનાવવાનો મોટો નિર્ણય લીધો છે.
રિયા ચક્રવર્તી ની જિંદગીની ‘રોલર કોસ્ટર રાઈડ’
ક્યારેક ટ્રોલિંગ, ક્યારેક વિવાદ તો ક્યારેક લોકોના આકરા સવાલો. છેલ્લા કેટલાક વર્ષોમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની જિંદગી ભારે ઉથલપાથલ ભરેલી રહી છે. બહારથી હસતી દેખાતી રિયા અંદરથી કેટલું દર્દ સહન કરી રહી છે, તેની ઝલક તેની નવી પોસ્ટે આપી દીધી છે.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેની આ ઈમોશનલ નોટ વાંચીને ફેન્સ પણ ચિંતિત બન્યા છે. રિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે દુનિયાના શોરબકોર અને લોકોની સતત નજરથી થાકી ગઈ છે.
સોશિયલ મીડિયાથી કેમ દૂર થઈ રહી છે રિયા?
રિયા ચક્રવર્તીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક લાંબી અને ભાવુક કરી દે તેવી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે તેની જિંદગીમાં અત્યારે ઘણી માનસિક હલચલ ચાલી રહી છે.
સતત સ્ક્રોલિંગ કરવું, ઈન્ટરનેટનો ઘોંઘાટ અને દરેક વસ્તુને પરફેક્ટ રાખવાનો પ્રયાસ હવે તેને થકવી રહ્યો છે. આ જ કારણે તે થોડો સમય શાંતિથી વિતાવવા માંગે છે.
રિયાએ પોતાની પોસ્ટમાં શું લખ્યું?
“છેલ્લા કેટલાક સમયથી હું મારી જાતને મિસ કરી રહી છું. સોશિયલ મીડિયાનો સતત ઘોંઘાટ, સ્ક્રોલિંગ અને બધું સાચવી રાખવાની કોશિશ હવે આશા કરતાં વધુ ભારે લાગી રહી છે. હું એક એવી જગ્યાએ રહેવા માંગુ છું જ્યાં મને કોઈ કેપ્ચર (ફોટો કે વીડિયો) ન કરે. હું શાંતિને મિસ કરી રહી છું. તેથી હું થોડો સમય માટે સોશિયલ મીડિયાથી પાછળ હટી રહી છું, જેથી જિંદગી થોડી સ્લો કરી શકું, ઊંડો શ્વાસ લઈ શકું અને વાસ્તવિક વસ્તુઓ સાથે ફરી જોડાઈ શકું. હવે પોસ્ટ કરવાને બદલે હું પળોને જીવવા માંગુ છું. જલ્દી મળીશું. – રિયા.”
મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ચૂકી છે એક્ટ્રેસ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તી ની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તેના પર ગંભીર આરોપો લાગ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. આ વિવાદોમાં તેને જેલના દિવસો પણ જોવા પડ્યા હતા.
લાંબા સમય સુધી ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ રિયાએ ધીમે-ધીમે વાપસી કરી હતી. પરંતુ તેની નવી પોસ્ટ દર્શાવે છે કે માનસિક શાંતિ માટે તે ડિજિટલ દુનિયાથી બ્રેક લઈને પોતાની જાતને સમય આપવા માંગે છે.
