દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરના નિધન બાદ તેમની કરોડોની સંપત્તિનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના પરિવારમાં ચાલી રહેલો આ કાયદાકીય જંગ હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
માતા રાની કપૂરે સુપ્રીમમાં કરી અરજી
સંજય કપૂરના માતા રાની કપૂરે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. તેમણે સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર અને અન્ય પક્ષકારોને ‘આરકે ફેમિલી ટ્રસ્ટ’ના કામકાજમાં દખલ કરતા અટકાવવાની માંગ કરી છે. રાની કપૂરનો આરોપ છે કે ટ્રસ્ટ અને સંપત્તિના મામલે પારિવારિક હિતોનું જોખમ છે.
બોર્ડ મીટિંગ પર રોક લગાવવાની માંગ
આ વિવાદ વચ્ચે 18 મેના રોજ ‘રઘુવંશી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ની એક મહત્વની બોર્ડ મીટિંગ યોજાવાની છે. આ કંપની પાસે પરિવારની વિવાદિત મિલકતનો મોટો હિસ્સો છે. રાની કપૂરે આ મીટિંગ પર રોક લગાવવાની માંગ કરી છે, કારણ કે મીટિંગનો મુખ્ય હેતુ નવા ડિરેક્ટરોની નિમણૂક કરવાનો છે.
કોર્ટે કહ્યું- ‘મહાભારત પણ નાનું લાગશે’
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે, “આ વિવાદ એવો છે જેમાં મહાભારત પણ નાનું લાગશે.” કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 14 મે પર નક્કી કરી છે.
સંજય કપૂરનું નિધન અને વિવાદ
સોના કોમસ્ટારના ચેરમેન સંજય કપૂરનું નિધન 12 જૂન 2025ના રોજ યુકેમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી થયું હતું. 53 વર્ષની ઉંમરે થયેલા તેમના અવસાન બાદ આશરે 30,000 કરોડની સંપત્તિ પર વિવાદ સર્જાયો છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે આ સંપત્તિ પર ‘યથાસ્થિતિ’ (Status Quo) જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો, જેનો અર્થ છે કે વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી મિલકત વેચી કે ટ્રાન્સફર કરી શકાશે નહીં.
