પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં વરિષ્ઠ સરકારી મંત્રીઓ અને અધિકારીઓ હાજર છે, જે મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ, ક્રૂડ તેલ, ગેસ, વીજળી અને ખાતર ક્ષેત્રોની પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તેલ, ગેસ અને ખાતર સહિત આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.
બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્યત્વે ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું:
-
પેટ્રોલિયમ અને કાચું તેલ: તેલના ભાવ અને આયાત પર અસર ન પડે તે માટે ચર્ચા.
-
વીજળી અને ગેસ: દેશમાં ગેસ અને વીજ પુરવઠો અવિરત જાળવી રાખવા પ્લાનિંગ.
-
ખાતર (Fertilizer): ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટેની તૈયારી.
-
સપ્લાય ચેઈન: યુદ્ધની સ્થિતિમાં માલસામાનની અવરજવર પર નજર.
દિગ્ગજ મંત્રીઓની હાજરી
આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને જે.પી. નડ્ડા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.
શા માટે ભારત ચિંતામાં છે?
મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધી શકે છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ દેશોમાંથી આયાત કરે છે. જો સપ્લાય ચેઈન ખોરવાય તો દેશમાં મોંઘવારી વધી શકે છે, જેને રોકવા સરકાર અત્યારથી જ વ્યૂહરચના બનાવી રહી છે.
