NCERT and Supreme court: સુપ્રીમ કોર્ટમાં NCERT ધોરણ 8ના પાઠ્યપુસ્તકના પ્રકરણ “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” અંગેની સુનાવણી શરૂ છે. સીજેઆઈ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જે. બાગચી અને જસ્ટિસ પંચોલીની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસની નારાજગી બાદ NCERTએ પુસ્તક પાછું ખેંચી લીધું છે અને કાઉન્સિલે કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી છે.
શબ્દોના તીરથી ન્યાયપાલિકા લોહીલુહાણ છે
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે, “તમે આ બાબતને ખૂબ જ હળવાશથી લીધી છે. જવાબદારોના ધનુષમાંથી જે બાણ છૂટ્યું છે, તેનાથી આજે ન્યાયપાલિકા લોહીલુહાણ થઈ ગઈ છે. પુસ્તક હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે, મને પણ એક સ્ત્રોત દ્વારા તેની નકલ મળી છે.”
પ્રકરણની ફરીથી સમીક્ષા કરવામાં આવશે
સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે, જવાબદાર લોકોને ભવિષ્યમાં આવા કામોમાં હિસ્સેદાર નહી બનાવવામાં આવે. બજારમાં આવેલા તમામ 32 પુસ્તકો પાછા ખેંચવામાં આવી રહી છે. એક ટીમ દ્વારા આખા પ્રકરણની ફરીથી સમીક્ષા કરવામાં આવી રહી છે. પાઠ્યપુસ્તકમાં ‘જસ્ટિસ ડિલેડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ’ (ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે) શીર્ષકવાળા હિસ્સાને પણ હટાવવા અંગે વિચારણા કરાશે, કારણ કે આપણે બાળકોને એવું ન શીખવી શકીએ કે ન્યાય મળતો જ નથી.
ચીફ જસ્ટિસની આકરી ટિપ્પણી
કોર્ટ આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, “આ ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટેનું એક સુનિયોજિત પગલું છે. ન્યાયપાલિકાના વડા તરીકે, જ્યાં સુધી હું સંતુષ્ટ નહીં થાઉં ત્યાં સુધી આ મામલાની સુનાવણી ચાલુ રહેશે.”
બિનશરતી માફી અને પુસ્તકો પરત ખેંચવાની ખાતરી
સુનાવણી દરમિયાન NCERT તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “સૌ પ્રથમ, અમે બિનશરતી માફી માંગીએ છીએ. શાળા શિક્ષણના સચિવ પણ અહીં હાજર છે.” જો કે સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “તેમની નોટિસમાં માફીનો એક પણ શબ્દ નથી. જે રીતે ડિરેક્ટરે આ બાબતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે તે જોતા લાગે છે કે આમાં કોઈ મોટું ષડયંત્ર છે.”
