દેશભરમાં અત્યારે E20 પેટ્રોલ (૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ)ને લઈને લોકોમાં ઘણા સવાલો છે. સૌથી મોટો સવાલ એ છે કે જો પેટ્રોલમાં ૨૦% ઈથેનોલ ભેળવવામાં આવે છે, તો તે સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું કેમ નથી? તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. સરકારે લોકોની શંકાઓ દૂર કરવા માટે ૧૦ મહત્વના જવાબો આપ્યા છે.
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મોંઘું કેમ પડે છે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલ સસ્તું ન હોવા પાછળનું મુખ્ય કારણ ખેડૂતોનું હિત છે.
-
ખેડૂતોને આર્થિક મદદ: સરકાર ભારતીય ખેડૂતો પાસેથી ₹૭૧.૮૬ પ્રતિ લીટરના ઊંચા અને નક્કી કરેલા ભાવે ઈથેનોલ ખરીદે છે.
-
કાચા તેલની કિંમત: હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ (Crude Oil) લગભગ ૭૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. આ સ્થિતિમાં ઈથેનોલનું બ્લેન્ડિંગ કરવું પરંપરાગત પેટ્રોલ કરતાં મોંઘું પડે છે.
-
ભવિષ્યની સ્થિતિ: જો આગામી સમયમાં કાચા તેલની કિંમત ૧૨૦ ડોલરથી ઉપર જશે, ત્યારે જ E20 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું થઈ શકશે.
કિંમત ઘટાડવી એ મુખ્ય હેતુ નથી
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, E20 પેટ્રોલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પંપ પર કિંમતો ઘટાડવાનો નથી. તેના અસલી ફાયદા નીચે મુજબ છે:
-
વૈશ્વિક કિંમતોથી સુરક્ષા: આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતા અચાનક વધારાથી ગ્રાહકોને બચાવી શકાય.
-
વિદેશી મુદ્રાની બચત: બહારથી ઓછું તેલ મંગાવવું પડતું હોવાથી દેશના કરોડો રૂપિયાની વિદેશી મુદ્રા બચે છે.
-
પર્યાવરણને ફાયદો: ઈથેનોલના ઉપયોગથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થાય છે.
સોશિયલ મીડિયાના ભ્રામક સમાચારો પર સરકારની સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલના કારણે ગાડીઓને નુકસાન થતું હોવાના ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. સરકારે આ તમામ અહેવાલોને સંપૂર્ણપણે ભ્રામક ગણાવ્યા છે. આ આખો પ્રોગ્રામ વૈજ્ઞાનિક અભ્યાસ અને સુરક્ષાના નિયમોને આધારે જ તૈયાર કરાયો છે.
સરકારે આપેલા ૧૦ મહત્વના જવાબો:
-
પાણીનો બગાડ: ઈથેનોલના ઉત્પાદનમાં પાણીનો વધારે બગાડ થતો હોવાનો દાવો ખોટો છે.
-
ખાદ્ય સુરક્ષા: દેશની ખાદ્ય સુરક્ષા સાથે કોઈ જ સમાધાન કરવામાં આવ્યું નથી.
-
સફળ ટેકનોલોજી: E20 કોઈ નવો ‘પ્રયોગ’ નથી, તે દુનિયાભરમાં સફળ થયેલી ટેકનોલોજી છે.
-
એન્જિનની સુરક્ષા: આનાથી ગાડીઓનું એન્જિન ખરાબ થવાની વાત બિલકુલ પાયાવિહોણી છે.
-
માઇલેજ પર અસર: વાહનોની માઇલેજ પર આનાથી કોઈ મોટી નકારાત્મક અસર પડતી નથી.
-
વોરંટી અને વીમો: ગાડીની કંપનીની વોરંટી કે વીમા (Insurance) પર કોઈ ખતરો નથી.
-
જીવજંતુઓનો દાવો: ઈથેનોલના કારણે કીડીઓ કે મધમાખીઓ આકર્ષિત થાય તેવો દાવો મનઘડંત છે.
-
કોર્ટનો સંદર્ભ: સુપ્રીમ કોર્ટમાં ‘પ્રયોગ’ શબ્દનો ખોટો સંદર્ભ લેવામાં આવ્યો છે.
-
ફેક વીડિયો: પેટ્રોલમાં સીધો શેરડીનો રસ મેળવતા હોવાના સોશિયલ મીડિયાના વીડિયો તદ્દન ફેક અને નકલી છે.
-
અર્થવ્યવસ્થાને લાભ: આ નીતિથી દેશના પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે.
