11 માર્ચ 2026: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના નેશનલ હાઇવે પરથી કરોડો રૂપિયાની ટોલ આવક મેળવી છે. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ અંગે મહત્વની વિગતો આપી હતી.
ટોલ અને વિકાસના આંકડા
ટોલ વસૂલાત: છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી કુલ ₹20,383 કરોડનો ટોલ વસૂલાયો.
વિકાસ માટે ફાળવણી: આ જ સમયગાળામાં હાઇવેના બાંધકામ અને જાળવણી માટે ₹47,236 કરોડ ફાળવવામાં આવ્યા.
કયો હાઇવે પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે?
સરકારે વિવિધ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે નવી સમયમર્યાદા (Deadline) જાહેર કરી છે:
વાપી-સુરત અને સુરત-ભરૂચ (NH-48): અહીં 16 પુલ અને ફ્લાયઓવરનું કામ ચાલુ છે. જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થશે.
ભરૂચ-વડોદરા સેક્શન: અહીં 7 નવા પુલ અને ફ્લાયઓવર બની રહ્યા છે. આ કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે.
શામળાજી-મોટા ચિલોડા: આ રૂટ પર સિક્સ-લેનિંગનું બાકી કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે.
રાજકોટ-જેતપુર (NH-27): આ હાઇવેનું સિક્સ-લેનિંગ કાર્ય જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું થશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
ખરાબ રસ્તા અને જાળવણી
અમદાવાદ-હિંમતનગર અને ભરૂચ-સુરત હાઇવે પરના ખાડાઓ અંગે મંત્રીએ જણાવ્યું કે, મોટાભાગના રસ્તાઓ હવે PBMC (Performance Based Maintenance Contract) હેઠળ છે. એટલે કે કોન્ટ્રાક્ટરોએ રસ્તાની ગુણવત્તા જાળવવી પડશે. વડોદરા-અમદાવાદ હાઇવેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે હાલ BOT મોડ પર છે.
